ઘોડાધ્રોઇ સિંચાઇ યોજનામાંથી નદીમાં પાણી છોડવાની મંજૂરી મળી
રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાના પ્રયાસો ફળ્યા : રાપર, જેતપર, માણાબા અને સુલતાનપુર ગામના ખેડૂતોને લાભ મળશે
મોરબી : જેતપર, માણાબા અને સુલતાનપુર ગામના ખેડૂતો માટે રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા એ પ્રયાસો કરતાં ઘોડાધ્રોઇ સિંચાઇ યોજનામાંથી નદીમાં પાણી છોડવાની મંજૂરી મળી છે.
દેશના તાત એવા ખેડૂતોની આવક બમણી કરવાની નેમ બતાવતાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નેમને સાચા અર્થમાં સાર્થક કરવા મોરબી જિલ્લામાં આવેલ ધોડાધ્રોઇ સિંચાઇ યોજના હેઠળ આવતાં રાપર, જેતપર, માણાબા અને સુલતાનપુરના ખાતેદાર ખેડૂતોને સમયસર અને પૂરતાં પ્રમાણમાં સિંચાઇ માટે પૂરતુ પાણી મળી રહે, તે માટે ઘોડાધ્રોઇ સિંચાઇ યોજનામાંથી નદીમાં પાણી છોડવવા સતત ખેવના રાખતા પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી બ્રિજેશ મેરજા દ્વારા જિલ્લા કક્ષાના અધિકારીના કાર્યાલયથી લઇને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઇ પટેલના કાર્યાલય સુધી સતત સંપર્કમાં રહી, ઘોડાધ્રોઇ સિંચાઇ યોજનામાંથી નદીમાં પાણી છોડવવા અંગેની મંજુરી મેળવતાં રાજય મંત્રી બ્રિજેશ મેરજાના પ્રયાસોને સફળતા મળતાં મોરબી ખરીદ વેચાણ સંઘના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઇ લોરીયા દ્વારા બ્રિજેશ મેરજાની સરાહના કરવામાં આવી અને શુભેચ્છા સાથે અભિનંદન આપવામાં આવેલ છે.