ભાવનગરમાં જુથ અથડામણઃ બાઇકમાં ધારીયાના ઘા ઝીંક્યા
૬ શખ્સો સામે ગુન્હો : ૪ ની ધરપકડ : ચુસ્ત પોલીસ બંદોબસ્ત
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૮ : ભાવનગર શહેરમાં જુની અદાવતને કારણે બે જુથ વચ્ચે અથડામણ થઇ હતી અને એક બાઇકને આગ લગાડી સળગાવી દેવાયું હતું. જ્યારે એક બાઇકને ધારીયાના ઘા ઝીંકી નુકસાન પહોંચાડાયું હતું. પોલીસે બનાવ સ્થળે દોડી જઇ ચારને ઝડપી લીધા હતા. જ્યારે છ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગતો એવી છે કે, શહેરના ચિત્રા વિસ્તારમાં પેટ્રોલ પંપ સામે મસ્તરામબાપાના મંદિર નજીક ગઇ મોડી રાત્રે બે જુથ વચ્ચે મારામારી સર્જાઇ હતી અને એક બાઇકને આગ લગાડી સળગાવી દેવાયું હતું. જ્યારે જીજી૦૪ડીઆર ૦૮૦૧ ઉંપર ધારીયાના ઘા ઝીંકી નુકસાન પહોંચાડાયું હતું. જુની અદાવતથી બે જુથ સામસામે આવી ગયા હતા અને મારામારી થઇ હતી. જોકે પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો દોડી જતાં આ શખ્સો નાસી છૂટયા હતા. જ્યારે ચારને પોલીસે ઝડપી લીધા હતા.
આ બનાવ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનનાં પી.આઇ. કે.એમ.રાવલએ જાતે ફરીયાદી બની જાહેરમાં ઝઘડો કરી સુલેહ શાંતિનો ભંગ કરી, વાહનની આગ લગાડી, નુકસાન કરવા અંગે હિતેન વિજયભાઇ ચૌહાણ (રહે. ચિત્રા), દેવાંગ ઉંર્ફે કાનભા ભીખુભા ડોડીયા (રહે. ચિત્રા), મયુરભાઇ કાંતિભાઇ બારૈયા (રહે. ચિત્રા), બોબી રાજુભાઇ બારૈયા, બોબીનો મિત્ર અજય અને બોબીનો એક અજાણ્યો મિત્ર સહિત છ શખ્સો સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી ચાર શખ્સોની મોડી રાત્રે જ અટકાયત કરી હતી.
આ બનાવના કારણમાં આરોપી હિતેન વિજયભાઇ ચૌહાણ (ઉં.૧૯)ને અન્ય આરોપી બોબી રાજુભાઇ બારૈયા સાથે અગાઉં માથાકુટ થયેલ તેની દાઝ રાખી બંને જુથ વચ્ચે રાત્રે અથડામણ થઇ હતી અને મારામારી થઇ હોવાનું પોલીસ ફરીયાદમાં જણાવાયું છે. આ અંગે પી.આઇ. રાવલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.