જયપુરમાં યોજાયેલ લગ્ન સમારોહ બાદ જામનગરના જીતુભાઈ લાલ અને પરિવારના સભ્યો કોરોના સંક્રમિત
પેલેસમા યોજાયેલ લગ્ન સમારંભમાં ફોરેનર્સ લોકો પણ ઉપસ્થિત હતા : લોકોને કોરોનાથી સાવચેત રહેવા જીતુભાઈએ ઓડિયો કલીપ વાયરલ કરીને ચેતવણી આપી
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૮ :. જામનગરના લોહાણા સમાજના અગ્રણી જીતુભાઈ લાલ અને તેના પરિવારજનો જયપુર લગ્ન બાદ કોરોના સંક્રમિત થતા ભારે ચિંતા વ્યાપી ગઈ છે. જીતુભાઈ લાલે ઓડિયો કલીપ વાયરલ કરીને લોકોને કોરોના ટેસ્ટ કરાવી લેવા ચેતવણી આપી છે.
જામનગરના લોહાણા મહાજન જ્ઞાતિના પ્રમુખ જીતુભાઈ લાલ ના સુપુત્ર ક્રિશ્નરાજ લાલના જયપુર ખાતે લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો જામનગર થી બે ચાર્ટર્ડ પ્લેન મારફતે લાલ પરિવારના અંગત લોકો લગ્ન સમારોહમાં ગયા હતા. રજવાડી ઠાઠમાઠ સાથે યોજાયેલા લગ્ન સમારોહમાં જામનગર થી જાન લઈને ગયેલા લાલ પરિવાર ઉપરાંત જે પેલેસમાં લગ્ન હતા ત્યાં ફોરેનર્સ પણ હતા જે અંગે અગ્રણી જીતુ લાલ દ્વારા ઓડિયો મારફતે મેસેજ કરી જણાવવામાં આવ્યું છે કે લગ્ન સમારોહ ત્યારબાદ લાલ પરિવારના બે થી ત્રણ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે જેને લઇને જયપુર હા લગ્ન સમારોહમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરવા અપીલ કરી છે અને લાલ પરિવારના અશોકભાઈ લાલા બે પુત્રોના આગામી ૧૧ ડિસેમ્બરે આગ્રા મુકામે યોજાનાર લગ્ન સમારોહ પણ મોકૂફ રાખ્યો હોવાનું જીતુ લાલ દ્વારા ઓડિયો મારફતે સ્પષ્ટતા કરાઈ છે.
જયપુરમાં નવેમ્બર આ મહિનાના એન્ડ થી ડિસેમ્બર મહિનાની શરૂઆત દરમિયાન યોજાયેલા લગ્ન સમારોહમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મોટા ગજાના કલાકારો દ્વારા ખાસ કાર્યક્રમો પણ યોજાયા હતા જેને લઈને ચિંતા ઘેરી બની છે. જયપુરના પેલેસ મુકામે યોજાયેલા લાલ પરિવારના લગ્ન સમારોહમાં હાથી ઉપર સવાર વરરાજા અને પરિવારજનો ખુશખુશાલ મુદ્રામાં નજરે પડે છે. હા પરિવારની ખુશી કોરોના ના કારણે હાલ મૂરજાઈ ગઈ છે ત્યારે કોરોનાની મહામારી માં વધુ લોકો સંક્રમિત ન થાય તે માટે પરિવારના મોભી જીતુભાઈ દ્વારા પણ લોકોને સ્વેચ્છાએ સાવચેતી માટે ઓડિયો સંદેશ પાઠવવામાં આવ્યો છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)