જુનાગઢમાં સમાધાન માટે ૩ લાખ માંગીને વેપારીને છરી ઝીંકી
ભાવેશ રાઠોડ ઉપર હુમલો કરીને અરમાન ગામેતી નાશી છૂટયોઃ વેપારીઓમાં ભારે રોષ
તસ્વીરમાં દુકાનમાં તોડફોડ બાદ ટોળા એકત્ર થઇ ગયા તે નજરે પડે છે(તસ્વીરઃમુકેશ વાઘેલાઃજુનાગઢ)
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૯: જુનાગઢના આગળના કેસના સમાધાન માટે એક માથાભારે શખ્સે રૂ.૩ લાખ માંગીને વેપારી ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળેલ છે.
આ બનાવની વિગતો એવી છે કે, જુનાગઢમાં ખામધ્રોળ રોડ વિસ્તારમાં દુકાન ધરાવતા ભાવેશભાઇ ગિરીશભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) નામના વેપારી ગઇકાલે તેમની દુકાને ધૂપ દિપ કરતા હતા. ત્યારે કેમ્બ્રીજ પાસે રહેતો અરમાન ગામેતી નામનો શખ્સ આવ્યો હતો અને તેણે ભાવેશ રાઠોડ પાસે આગળના કેસના સમાધાન માટે રૂ.૩ લાખની માંગણી કરી હતી. પરંતુ વેપારીએ પૈસા આપવાની ના પાડતા અરમાને છરી વડે હુમલો કર્યો હતો.
આ હુમલામાં ભાવેશભાઇને ગંભીર પ્રકારની ઇજા પહોંચાડીને અરમાન ગામેતી નાસી ગયો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.