ઉંપલેટા મોજ નદીમાંથી દેવીપૂજક યુવકની લાશ મળીઃ હત્યા કે આત્મહત્યા?
(જગદીશ રાઠોડ દ્વારા) ઉંપલેટા તા. ૧૦: અહીંના દરબારગઢ પગથીયા નીચે મોજ નદીમાં ૩પ વર્ષીય દેવીપૂજક યુવકની લાશ પડી હોવાની જાણ થતા તુરત જ પોલીસ ઘટના સ્થળે દોડી આવેલ લાશને પાણીમાંથી બહાર કાઢી પી.એમ. માટે અહીંની સરકારી કોટેજ હોસ્પીટલ ખાતે ખસેડી સમગ્ર બનાવ અંગે તેમના પરિવારની પુછપરછ હાથ ધરેલ છે.
જાણવા મળ્યા મુજબ મરનાર અહીંના સોની ફળીયા વિસ્તારમાં રહેતા અને વર્ષોથી છૂટક તથા જથ્થાબંધ બટેટાનો વેપાર કરતા વિજય વિઠ્ઠલભાઇ સોલંકી (ઉં.વ.૩પ) હોવાનું જાણવા મળેલ છે. અને તેમના પરિવાર દ્વારા જણાવ્યા મુજબ મૃતક વિજય માનસીક બિમાર હોય અને તેની દવા પણ ચાલતી હતી જે ગત રાત્રીના ત્રણેક વાગ્યે ઘરેથી નિકળી ગયેલ રાત્રે જ શોધખોળ કરેલ મળેલ નહી તેથી પોલીસને પણ જાણ કરી હોવાનું પરિવારે જણાવેલ હતું અને બીજે દિવસે પોલીસને બપોરના ૧ર.૩૦ વાગ્યે તેની લાશ મળતા પરિવારમાં શોકનું મોજૂ ફરી ગયેલ હતું.
મૃતકનો મૃતદેહ જે જગ્યા પરથી મળ્યો તેની નજીક પગથીયા પાસેથી લોહીના ખાબોરચીયા પણ જોવા મળેલ અને થોડે દૂર મૃતકના કપડા પટ્ટો મોબાઇલ પણ મળી આવેલ હતા પોલીસે આ તમામ જીણા મોટા પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરેલ છે બનાવની તપાસ પો. જ. બી. સી. સોલંકી ચલાવી રહેલ છે.