જસદણના કાનપરના ૬ર વર્ષના મગનભાઇ ગેડીયાનો ચેકડેમમાં ઝંપલાવી આપઘાત
માનસિક બીમારીની દવા ચાલુ હતી : દવાની ફાઇલ ડેમ કાંઠેથી મળી
(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૧૦ : જસદણના કાનપર ગામે રહેતા મગનભાઇ પ્રેમજીભાઇ ગેડીયા (ઉ.વ.૬ર) એ આજે સવારે માનસીક બીમારીથી કંટાળી આટકોટની બૂંઢણપરી નદીના ચેકડેમમાં પડતુ મુકી મોત વ્હાલુ કર્યુ હતું.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જસદણ તાલુકાના કાનપર ગામે રહેતા મગનભાઇને ઘણા વખતથી માનસીક બીમારી હતી અને તેની સારવાર પણ ચાલુ હતી. જેની ફાઇલ પણ ડેમનાં કાંઠેથી મળી આવી છે.
હિરા ઘસવાનું કામ કરતા તેમને પુત્ર મહેશનાં જણાવ્યા મુજબ આજે સવારે સાત વાગ્યાની બસમાં તેઓ કાનપરથી નિકળ્યા હતા. આટકોટ બસ સ્ટેન્ડે ઉતરી તેઓએ બૂંઢણપરી નદીમાં ચેક ડેમમાં ઝંપલાવી મોત વ્હાલુ કર્યુ હતું.
આ બનાવની જાણ થતા આટકોટનાં સેવાભાવી યુવાનો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ લાશ બહાર કાઢી જસદણ સરકારી દવાખાને પી.એમ. માટે મોકલી આપી હતી.
આ બનાવની વધુ તપાસ આટકોટ પોલીસમાં હેડ કોન્સ. ગોપાલભાઇ ચલાવી રહ્યા છે.