સત્તાધાર આપાગીગાની જગ્યા તા. ૩૦ એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ
મહોત્સવો પણ બંધ રખાશેઃ પૂ. વિજયબાપુ
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૦ :.. સૌરાષ્ટ્રનુ સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા સત્તાધાર આપા ગીગાની જગ્યાના મહંત પૂ. વિજયબાપુ, ગુરૂશ્રી જીવરાજબાપુએ જણાવ્યું હતું કે આજથી તા. ૩૦ એપ્રિલ સુધી આ જગ્યા દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવેલ છે.
પૂ. વિજયબાપુએ વધુમાં જણાવેલ કે હાલમાં કોરોના મહામારીનું સંક્રમણ વધતા સરકારશ્રીના આદેશ મુજબ સત્તાધારની જગ્યા દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવેલ છે જેમાં સંપૂર્ણ દર્શન આરતી દર્શન, ઉતારા પણ બંધ રાખવામાં આવેલ છે.
તેમજ વર્તમાન સમયમાં આવતા પ્રસંગો સંતવાણી યજ્ઞ રામનવમી, હનુમાન જયંતિ તેમજ અખાત્રીજ મહોત્સ્વ પણ બંધ રાખવામાં આવેલ છે. જેની જાહેર જનતા અને ધર્મપ્રેમી ભકતો તથા સત્તાધાર સેવક સમાજે નોંધ લેવા પૂ. વિજયબાપુએ અપીલ કરી છે અને આજે તા. ૧૦ થી તા. ૩૦ એપ્રિલ સુધી જગ્યા સંપૂર્ણ બંધ રહેશે. તો સૌએ સહકાર આપવા અને કોરોના મહામારી સામે સાવચેત રહેવા જણાવ્યું હતું.