જેતપુર તાલુકાના જેતલસર જંકશન ગામ દ્વારા સંક્રમણની ચેઇન તોડવા ગામમાં 11મીથી 21 સુધી લોકડાઉન જાહેર
જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓ સવારના ૭થી૧૨ વાગ્યા સુધી ખરીદી લેવાની સૂચના
જેતપુર :શહેરના જેતલસર જંકશન ગામની ગ્રામ પંચાયત દ્વારા કોરોના સંક્રમણ વધવાને કારણે ૧૧થી ૨૧ એપ્રિલ સુધી ગામને સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.
કોરોના સંક્રમણ શહેરથી માંડી સીમ સુધી વિસ્તરી જતાં સંક્રમણની ચેઇન તોડવા જુદા જુદા શહેરોના વિવિધ સંગઠનો દ્વારા પોતપોતાના શહેરના ધંધા રોજગાર સ્વૈચ્છીક રીતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ત્યારે જેતપુર તાલુકાના જેતલસર જંકશન ગામની પંચાયત દ્વારા આજે સભ્યોની એક બેઠક બોલાવી ગામમાં સંપૂર્ણ લોકડાઉન અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અંતે ૧૧થી ૨૧ એપ્રિલ સુધી ગામમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. અને ગ્રામજનોને જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓ સવારના ૭થી૧૨ વાગ્યા સુધી ખરીદી લેવાની સૂચના આપવામાં આવી હતી.
અને ગામમાં જે કોઈ વ્યક્તિ પોઝિટિવ હોય તેના ઘરનો કોઈ સભ્ય બહાર નીકળશે તો તેની સામે ફોજદારી ગુન્હો નોંધવાની ગામના સરપંચ ગોરધનભાઇ વાઘેલાએ જાહેર નોટીસ દ્વારા ગામ લોકોને જાણ કરી હતી.