પાટડીના સવલાસમાં તળાવમાં ડૂબી જવાથી ૨ સગાભાઇના મોત
પિતા સાથે પશુઓ ચરાવવા ગયા બાદ ઘરે જવાનું કહીને નીકળ્યા બાદ તળાવમાં ન્હાવા પડતા મોત થતા અરેરાટી
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૦ : સુરેન્દ્રનગરના પાટડીના સવલાસ ગામની ઘટનાથી ચકચાર પિતા સાથે ઢોર ચરાવવા ગયેલા ૨ સગાભાઇના તળાવમાં ડૂબતા મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
પાટડીના સવલાસ ગામે રહેતાં કમશીભાઈ આલ (રબારી) માલઢોર ચરાવવા જતા હતાં ત્યારે તેમની સાથે દિકરો રોહિત ઉ.વ.૧૨ જે ધોરણ-૭માં અભ્યાસ કરે છે અને બીજો દિવસો નિર્મલ ઉ.વ.૯ જે ધોરણ-૩માં અભ્યાસ કરે છે તેઓ હાલ સ્કુલો બંધ હોય પિતાની સાથે ગયા હતાં અને થોડા સમય બાદ બંન્નેને ઘરે જવાનું કહી પિતા ઢોર ચરાવતાં હતાં તે દરમ્યાન બંન્ને પુત્રો ઘરે ન પહોંચ્યા હોવાની જાણ પિતાને કરવામાં આવી હતી.બંને બાળકો ઘરે જવાનું કહી નિકળ્યા બાદ તળાવમાં નહાવા પડતાં ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા આથી પિતા બંન્ને દિકરાઓને શોધવા નીકળ્યા હતાં જે દરમ્યાન ગામની સીમમાં આવેલ તળાવ પાસે બંન્નેના ચંપલ પડયાં હતાં જેથી તળાવમાં ડુબ્યા હોવાની શંકા જતાં લોકોએ તળાવમાં બંન્નેની શોધખોળ હાથધરી હતી જેમાં તળાવમાંથી ખુંચી ગયેલી હાલતમાં બંન્ને ભાઈઓની લાશ મળી આવી હતી અને બહાર કાઢવામાં આવી હતી ત્યારે બંન્ને ભાઈઓના હાથ એકબીજાએ પકડેલા હોય એકબીજાને બચાવવાની કોશીશ કરી હોય તેમ લાગી રહ્યું હતું. જેમાં મોટા પુત્ર રોહિતનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જયારે નાનોપુત્ર નિર્મલને તાત્કાલીક પાટડી સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો જયાં હોસ્પીટલે પહોંચે તે પહેલા જ નાના પુત્રનું પણ મોત નીપજયું હતું આમ એક જ પરિવારના બે સગા ભાઈઓના મોતથી માતા-પિતા સહિત પરિવારજનો પર આભ તુટી પડયું હતું અને બંન્નેના મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર ગામમાં બે ભાઈઓના મોતથી શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું.