નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા એલએલબી સેમેસ્ટર-૬નુું ૯ર.૩ર ટકા પરિણામ જાહેર
કાયદા વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ હવે સમયસર પોતાની સનદ લેવા માટે અરજી કરી શકશેઃ કુલપતિ પ્રો.ડો ચેતન ત્રિવેદી
જુનાગઢ તા.૧૦ : ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા એલ.એલ.બી. સેમેસ્ટર-૬નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતું. જે ૯ર.૩ર ટકા રહયુ હતુ. આ પરિણામ સંદર્ભે જે વિદ્યાર્થીઓ પુનઃ મુલ્યાંકન કરાવવા ઇચ્છતા હોય તેઓ પરિણામ જાહેર થયાના ૧૦ દિવસમાંઆપેલ લીક http://bknmu.gipl.net પર પોતાનું યુઝરનેમ તથા પાસવર્ડ એન્ટર કરી ઓનલાઇન અરજી કરી શકશે. કાયદા વિદ્યાશાખા (લો)ના વિદ્યાર્થીઓ માટે વકીલાત કરવા માટેની સનદ લેવા અરજી કરવાની છેલ્લી તારીખ ર૦ સપ્ટેમ્બર ર૦ર૦ જાહેર થયેલ છે. જે બાબતને ધ્યાને લઇ એલએલબી સેમેસ્ટર-૬નું પરિણામ આજરોજ જાહેર કર્યાનું કુલપતિ પ્રો.(ડો) ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું.
દરમિયાન યુનિવર્સિટીની બીજા તબકકાની પરીક્ષામાં ગઇકાલે બી.એ. બી.કોમ. સહિત મોટાભાગની સ્ટ્રીમની પરીક્ષાઓ પુરી થઇ ગઇ હતી. આઠમાં દિવસની બી.બી.એ. અને બી.આર.એસ.ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી હતી. જેમાં કુલ ૮૦૧ વિદ્યાર્થીઓમાં ૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. એક પણ કોપી કેસ થયો ન હતો.