અલંગનો કચરો હવે મણાર ગામની જમીનમાં નાખવા નહિ દઇએ
કચરો નાખવાથી કેન્સર, ચામડી, વાલ્વ સહિતના રોગો સતત વધી રહ્યા છે : ગ્રામજનો આંદોલનના માર્ગે
ભાવનગર તા.૧૧ : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ શિપયાર્ડ નજીક આવેલ મણાર ગામના બસો થી વધુ લોકો આજે એકઠા થયા હતા.અલંગ શિપ યાર્ડમાંથી નીકળતો કચરો મણાર ગામની નવી જમીન માં ન ઠલવાઇ તે માટે બેઠક યોજી ગમે તેવું આંદોલન કરવું પડે તો કરવા ની તૈયારી સૌએ દર્શાવી છે.
અલંગ સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડના કચરાનો નિકાલ કરવા માટે ખાનગી કંપનીને કામગીરી સોપાઈ છે. આ કંપનીદ્વારા મણાર ગામની જમીન માં કચરા નો નિકાલ કરવામાં આવતો હતો. હવે બીજી ચાલીસ વિઘા જમીન સંપાદન કરીને કચરા નાખવા માટે આયોજન ચાલી રહ્યાની હિલચાલના પગલે મણાર ગામના લોકોમાં રોષ ફેલાયો છે. જેને લઈ આજે ગામના અઢીસોથી વધુ લોકો એકઠા થયા હતા.
ગ્રામજનોએ સામુહિક લડત ચલાવવા અને આંદોલન કરવું પડે તો પણપાછી પાની કરવી નહીં તેવો નિર્ણય લીધો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે કચરો જમીનમાં દાટવાથી પાણી ન તળ ખરાબ થઈ ગયા છે.જેને લઈ અનેક લોકો કેન્સર, ચામડીના રોગ, વાલ્વની તકલીફ સહિતના રોગનું ભોગ બનવુંપડે છે.