મણીમંદિરે પાસે ગેરકાયદે દબાણ દૂર ન થાય તો લેન્ડ ગ્રેબીગ હેઠળ કાર્યવાહી : પાલિકાએ નોટિસ ફટકારી.
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે દબાણકારો સામે લાલ આંખ કરી
મોરબીના મણીમંદિરે પાસે ગેરકાયદે દબાણ ખડકાયાની હેરિટેજ બચાવ સમિતિએ કલેકટરને રજુઆત કરી છે ત્યારે બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરે દબાણકારો સામે લાલ આંખ કરીને નોટિસ ફટકારી છે. જો આ દબાણ દૂર નહિ કરાઈ તો દબાણકારો સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ કાર્યવાહી કરવાની નગરપાલિકા ચેતવણી આપી છે.
હેરિટેજ બચાવ સમિતિના નેજા હેઠળ કાજલ હિન્દુસ્તાની અને કમલ દવે સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા જિલ્લા કલેકટર લેખિત રજુઆત કરવામાં આવી હતી કે, મોરબી ખાતે ૧૦૦ વર્ષથી પણ વધારે સમય જૂનું હેરીટેઝ સ્મારક મણી મંદિર આવેલ છે. આ મણી મંદિરની બાજુમાં તાલુકા પંચાયત કચેરી પાસે ગેરકાયદે દબાણ ખડકાયેલું છે. આ દબાણને દૂર કરવાની માંગ કરી હતી.જેના પગલે કલેકટરે યોગ્ય કાર્યવાહીના નિર્દેશો આપ્યા છે.
બીજી તરફ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે દબાણકર્તાને નોટિસ ફટકારી છે. જેમાં ગેરકાયદે દબાણ દૂર કરવાની તાકીદ કરી આ અંગે ત્રણ દિવસમાં પાલિકાને જાણ કરવા જણાવ્યું છે અને આ દબાણ દૂર ન કરાઇ તો નગરપાલિકા જે તે દબાણકર્તા સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ કાર્યવાહી કરશે તેમ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું છે.