સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th August 2022

રૂા. ૧ લાખ આપી લગ્ન કરનાર આણંદની યુવતિ સુરેન્‍દ્રનગરના યુવાનને છોડી‘છૂ'

વઢવાણ,તા. ૧૧: સુરેન્‍દ્રનગરના યુવાનના આણંદની છોકરી સાથે લગ્ન રૂ.૧.૦૫ લાખ આપી લગ્ન કરવામાં આવ્‍યા હતા.ત્‍યારબાદ બંને જણા ફિલ્‍મ જોવા ગયા હતા જયાં વોશરૂમ જવાનું કહ્યા બાદ ફરાર થઇ ગઇ હતી. આથી પત્‍ની અને સબંધ કરાવનાર સામે સીટી પોલીસ સ્‍ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સુરેન્‍દ્રનગર જિલ્લામાં અપરિણીત યુવાનોને લગ્નની લાલચ આપી લૂંટવાના બનાવો અવાર નવાર સામે આવતા હોય છે. ત્‍યારે સુરેન્‍દ્રનગર માઇમંદિર વિસ્‍તારના નિકુલ કિશોરભાઇ મીઠાપરાને પણ યુવતી સાથે લગ્ન બાદ ફરાર થઇ જતા સીટી પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ લખાવી હતી.

જેમાં જણાવ્‍યા મુજબ લગ્ન ન થતા હોઇ સી.યુ.શાહ નગરના રહીશ માસીના દીકરા મનીષ સઠીયાએ છોકરી બતાવવાનું કહી તેમના પાડોશી ભરતભાઇ કોળી સાથે મુલાકાત કરાવી હતી. તેમણે પૈસા ખર્ચવા પડશે કહી શંભુભાઇ સાથે મુલાકાત કરાવી જે છોકરીના મામા બની મળ્‍યા હતા. પછી છોકરીના ફોટા મોકલી પૈસાની માગણી કરી હતી. પહેલા બોરસદના અડાસની કાજલ બતાવી તેની સાથે સબંધ તોડાવી નાખ્‍યો હતો. ત્‍યારબાદ બોરસદના ચિંચુડાની વર્ષા સાથે સબંધ કરાવી પછી તોડાવી નાખ્‍યો હતો. બન્ને વખતે પૈસા લીધા હતા.

પછી આણંદની સીમા સાથે રૂ.૧,૦૫,૦૦૦ લઇ મંદિરે ફૂલહાર કરાવ્‍યા હતા. છોકરી ઘરે આવ્‍યા બાદ પોતાના ઘરે જવા જીદ પકડી હતી. પરંતુ કોર્ટ મેરેજ બાકી હોવાથી પછી ઘરે જવા કહેતા માની હતી.બાદમાં પીકચર જોવા જવાનું કહેતા લઇ ગયો હતો. જયાં વોશરૂમ જઇ આવું કહી ફરાર થઇ ગઇ હતી. પછી શોધખોળ કરતા પતરાવાળી હોટેલથી રિક્ષા કરી રેલવે સ્‍ટેશનથી સોમનાથ-જબલપુર ટ્રેનમાં બેસી ગયાનું જણાયું હતું. આથી ફરાર પત્‍ની અને સબંધ કરાવનાર સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્‍યો હતો.

(12:48 pm IST)