જસદણ એક સપ્તાહ માટે ત્રણ વાગ્યા પછી બંધ રહેશે સ્વૈચ્છિક લોકડાઉન
(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૧૨ : જસદણ તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં વહીવટી તંત્રના અધિકારીઓ, મામલતદાર, જસદણ પી.આઈ, પી.એસ.આઇ, હેલ્થ ઓફિસના તમામ અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ ચેમ્બર ઓફ કોમર્સના જુદા જુદા એસોસિયેશનના પ્રતીનિધીઓ નગરપાલિકાના પ્રમુખ, ચૂંટાયેલા તમામ સદસ્યો, તેમજ તમામ આગેવાનોની હાજરીમાં કોરોના નિયંત્રણ માટે એક મિટિંગનું આયોજન થયું હતું.
આ મિટિંગમાં સર્વાનુમતે જસદણ શહેરમાં સ્વયંભૂ લોક ડાઉન લાગુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મિટિંગમાં નિર્ણય લેવાયા મુજબ તા. ૧૨-૪ સોમવારથી ૧૯-૪ સોમવાર સુધી હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, તથા દૂધની ડેરીઓ સિવાય તમામ દુકાનો તેમજ ઉદ્યોગોનો સમય સવારના સાતથી બપોરના ત્રણ વાગ્યા સુધી રાખવાનો નક્કી કરવામાં આવ્યું હતું.
ત્રણ વાગ્યા પછી સ્વયંભૂ લોક ડાઉન રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે સમગ્ર જસદણ શહેરમાં તેનો અમલ થાય છે કે મર્યાદિત બજારમાં જ અમલ થાય છે તે સોમવારે સાંજે ખબર પડશે.