થાનમાં ટેસ્ટીંગ કિટો ખૂટી પડતા દર્દીઓ પરત ગયા
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૨ : થાન પંથકમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે. તંત્ર દ્વારા ગમે તેટલી ટેસ્ટીગ કિટો કે દવાનો જથ્થો આપવામાં આવે પરંતું તે જથ્થો ઘડીભરમાં ખતમ થઈ જતો હોય છે. આજે સવારથી જ કોરોના ટેસ્ટિંગ માટેની લાઈનો લાગી હતી. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ટેસ્ટિંગ કીટો ખતમ થઇ જતા લગભગ ૫૦ દર્દીઓએ કોરોના ટેસ્ટિંગ કરાવ્યા વગર પરત ફરવું પડયું હતું.
થાન પંથકમાં કોરોના મહામારીએ માથું ઉચકયું છે. તેને ડામવા માટે અને કોરોનાની ચેન તોડવા માટે એક દિવસનું બંધ પૂરતું નથી. તેમ છતાં થાનના તમામ વેપારી એસોસિયેશન, નગર પાલિકા, રાજકીય પક્ષોના આગેવાનો સહિતનાઓની ઉપસ્થિતિમાં મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં નક્કી કર્યા મુજબ આજરોજ તમામ વેપારીઓની દુકાનો, ચા પાનના લારી ગલ્લા, શાકભાજી બજાર, મોચી બજાર સહિતના વેપારીઓ એક દિવસ સંપૂર્ણ બજાર બંધ રાખી કોરોનાની ચેનને તોડવાનો પ્રયત્ન કરશે.