પૂ. ભારતીબાપુને શ્રધ્ધાંજલી અર્પણ કરતા સાધુ સમાજના પ્રમુખ તથા અંબાજી મંદિર ગિરનાર અને ઉપલા દાતારના મહંત
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૨ :. ભારતી આશ્રમના સંસ્થાપક મહામંડલેશ્વર પૂ. ભારતીબાપુ ગઈકાલે બ્રહ્મલીન થતા સાધુ સમાજમાં ઘેરોશોક છવાયો છે.
પૂ. બાપુને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. મુકતાનંદબાપુએ જણાવ્યુ હતુ કે પ.પૂ. મહામંડલેશ્વર પૂ. ભારતીબાપુનુ શરીર શાંત થયુ છે. તેઓએ લાંબુ આયુષ્ય ભોગવ્યુ, ઘણો લાંબો સમય સંતોમાં નેતૃત્વ કર્યુ. જેઓ સરળ સ્વભાવના અને કર્મઠ વ્યકિત હતા. તેઓએ નિખાલસપણે સમાજની સેવા કરી છે. એવા મહાપુરૂષની ખોટ સંત સમાજને પડી છે અને સમગ્ર સમાજ દુઃખ વ્યકત કરી રહ્યો છે એવા સૌના આદર્શ પૂ. બાપુને સદ્ગુરૂ ભગવાન તેમના ચરણમાં સ્થાન આપે એ જ પ્રાર્થના સાથે હરી ઓમ...
અંબાજી મંદિરના મહંત પૂ. તનસુખગીરીબાપુએ જણાવ્યુ હતુ કે ભારતીબાપુના અવસાનથી સંત સમાજને મોટી ખોટ પડી છે. ભવનાથ તિર્થક્ષેત્રના વિકાસમાં તેમનુ ખૂબ સારૂ યોગદાન છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી હૃદયથી પ્રાર્થના કરીએ છીએ.
ઉપલા દાતારના મહંત પૂ. ભીમબાપુએ જણાવ્યુ હતુ કે પૂ. ભારતીબાપુ બ્રહ્મલીન થતા તેમની ઈચ્છા મુજબ ભારતી આશ્રમ ખાતે તેમને સમાધી આપવામાં આવી છે. એમના આત્માને ઈશ્વર શાંતિ આપે એ જ પ્રાર્થના સાથે જય દાતાર...