મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નાથાભાઇ ડાભી અને એક પોલીસકર્મીનું કોરોનાને લીધે મોત
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧ર : મોરબીમાં છેલ્લા દિવસોમાં અનેક લોકોના કોરોના ના લીધે તેમજ અન્ય રીતે મોત નીપજ્યા છે. દરમિયાનમાં આજે વધુ બે લોકોના મોત નિપજયા હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને રોંગી આગેવાન તેમજ એક નિવૃત પોલીસકર્મીના મોત નિપજેલ છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ આગેવાન નાથાભાઈ ડાભીનું ગઇકાલે અવસાન થયેલ હોવાનું જાણવા મળેલ છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નાથાભાઈ ડાભીને કોરોના પોઝિટિવ આવ્યો હતો જેથી કરીને તેઓને સારવારમાં રાજકોટ ખસેડાયા હતા અને સારવાર દરમિયાન તેઓને કોરોના નગેટીવ થઈ ગયો હતો. જોકે તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય નાથાભાઇને ઓકિસજન ઉપર રાજકોટ સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા અને ગઈકાલે રાત્રી દરમિયાન નાથાભાઇ ડાભીનું મોત નીપજ્યું છે તેવો મેસેજ આવતા કોંગ્રેસ પરિવાર અને ત્રાજપર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
તે રીતે જ મોરબીના બી ડિવિઝન પોલીસ મથકમાંથી થોડા સમય પહેલા જ નિવૃત્ત થયેલા મહિપતસિંહ છનુભા જાડેજા નામના પોલીસ કર્મીને પણ કોરોના પોઝિટિવ હતો અને દરમ્યાનમાં તેઓને સારવારમાં જામનગર ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાંથી નિવૃત્ત થયેલા નિવૃત પોલીસકર્મી મહિપતસિંહ છનુભા જાડેજાનું પણ કોરોના ના લીધે અવસાન થયું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.