એમ. જે. સ્વામિનારાયણ હાઇસ્કુલ સોમનાથ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી
પ્રભાસ પાટણ : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મ ભકિત જિલ્લા લોક વિજ્ઞાન ગીર સોમનાથ દ્વારા વિવિધ કાર્યક્રમો કરી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ. જેની માહિતી આપતા લોક વિજ્ઞાન કેન્દ્રના એકેડેમી કો-ઓર્ડીનેટર વિજયભાઈ કોટડીયાએ સિંહનું મહત્વ સમજાવતા જણાવેલ કે એસીઆઈસી ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે. તેના સંરક્ષણ અને સંવર્ધનમાં સ્થાનિક લોકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે. વન વિભાગ ગુજરાત રાજ્ય અને સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસથી તેની વસ્તીમાં ઉતરોતર વધારો થયો છે. સંખ્યા વધતાની સાથે તેઓ ભૂતકાળમાં તેમના નિવાસ સ્થાનને પુનઃ મેળવી રહ્યા છે. સિંહો ગીર અને બૃહદગીરના ૩૦૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં મુકતપણે વિહરતા જોવા મળે છે. આ વિસ્તારને એશિયાટિક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે. લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ સિંહ દિવસ ૨૦૨૨ની ઉજવણી ઓનલાઇન કવીઝ દ્વારા કરવામાં આવી હતી. આ ઓનલાઇન કિવઝમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ ૫૮૯ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કિવઝનો મુખ્ય હેતુ લોકોમાં સિંહ અગે જાગૃતિ કેળવવાનો હતો. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ધર્મ ભકિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા તેમના રજીસ્ટર્ડ ઇ-મેઇલ આઇ.ડી પર ફોર કલર પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેન્દ્ર ખાતે સિંહ વિશેની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવેલ. ત્યાર બાદ એક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ અને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલી શંખ સર્કલથી સોમનાથ મંદિર પરિસર સુધી લઈ જવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં એમ. જે. સ્વામિનારાયણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રો જોડાયેલા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર નરેશભાઈ દ્વારા કરવામાં આવેલ.(