સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th November 2020

૩૦મીએ કચ્છમાં રિન્યુએબલ એનર્જી પાર્કને ખુલ્લું મુકાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ કચ્છમાં આકાર લઈ રહ્યો છે : વડાપ્રધાન નરેન્દ્રમોદી દેવદિવાળીએ એનર્જી પાર્કના શિલાન્યાસ બાદ અને માંડવી ખાતે નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે

અમદાવાદ, તા.૧૧ : વડાપ્રધાન મોદી ફરીથી ગુજરાતના મહેમાન બની શકે છે, ૩૦ નવેમ્બરે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાત લઈ શકે છે, તેવા અહેવાલ મળી રહ્યા છે. વડાપ્રધાન મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ સોલાર એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરવા તેઓ ગુજરાતમાં આવી શકે છે. કચ્છના માંડવીમાં વડાપ્રધાન મોદીનો આ ડ્રિમ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. જેમાં ઊર્જા પાર્ક, ડીસેનિલેશન પ્લાન્ટનું વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આગામી ૩૦ નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી શકે છે. તેઓ દેવદિવાળીએ કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે અને માંડવી ખાતે એક નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે. આ પહેલાં ૩૦-૩૧ ઓક્ટોબરના રોજ મોદી ગુજરાતમાં આવ્યા હતા અને અહીં સી-પ્લેન સહિત કેવડિયા ખાતે અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૨૯ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી કેશુભાઈ પટેલના અવસાનને કારણે ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. ૩૦ ઓક્ટોબરે કેવડિયા જવાના બદલે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને બાપાને શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ તેઓ નરેશ કનોડિયાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે કનોડિયાબંધુને શ્રદ્ધાંજલિ અર્પી હિતુ કનોડિયા સહિત પરિવારજનોને સાંત્વના આપી હતી. વડાપ્રધાન મોદી અમદાવાદથી કેવડિયા પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે જંગલ સફારી, એકતા મોલ, એકતા નર્સરી, રિવર રાફટિંગ, બટરફ્લાઇ ગાર્ડન વિશ્વવન સહિત કુલ ૨૧ પ્રોજેક્ટમાંથી ૧૭ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.

 

(7:31 pm IST)