દ્વારકા જીલ્લામાં ૧૧ હજાર વ્યકિતઓનું રસીકરણ
ખંભાળીયા તા.૧૩ : દ્વારકા જિલ્લામાં કોરોના રસીકરણ અંગે ખુબ જ જાગૃતતા તથા સુંદર કાઉન્સેલીંગને લીધે જિલ્લામાં આરોગ્ય વિભાગના ૯૨% ઉપરાંત સ્ટાફને રસીકરણ સંપુર્ણ થયુ હતુ તથા ફ્રન્ટ લાઇન કર્મીઓ પોલીસ, શિક્ષકો તથા અન્ય વિભાગના કર્મચારીઓની પણ કામગીરીને કારણે અન્ય કર્મીઓમાં ૭૨ ટકા ઉપરાંત સ્વૈચ્છિક હોવા છતા પણ કામગીરી થઇ શકી છે. જે રાજયના અન્ય જિલ્લાઓની સરખામણીએ છેવાડાના દ્વારકા જિલ્લાની નોંધપાત્ર સિધ્ધિ છે.
જિલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીના, જિ.પો.વડા સુનીલ જોશી, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, જિલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેર, પ્રાંત અધિકારીઓ મામલતદાર, ચુંટણી સ્ટાફ વિ. દ્વારા જાતે વેકસીન લેતા તથા વેકસીન લેવી જોખમી નથી તેવી વાતો તથા સ્પીચ પણ વાયરલ થતા તથા ખૂબ જ સારૂ કાઉન્સેલીંગ થવાથી રાજયમાં કોરોના રસીકરણના કાર્યક્રમમાં નોંધપાત્ર સ્થાન જિલ્લાએ મેળવ્યું છે. સરકારીકર્મી ઉપરાંત સ્વૈચ્છિક રીતે પણ લોકો નકકી કરેલ સ્થળોએ જઇને રસીકરણ કરાવી રહ્યા હોય ૧૨૦૦૦ ઉપરાંત રસીકરણ થયુ છે જેમાં કોઇ મોટો આડઅસરનો બનાવ બન્યો નથી.