જૂનાગઢ જીલ્લાની ગામડાની તમામ શાળાના કર્મીઓને ફરજના સ્થળે હાજર રહેવા આદેશ
(વિનુ જોષી દ્વારા), જુનાગઢ, તા.૧૩: જુનાગઢ જિલ્લાની ગામડાની તમામ શાળાના કર્મચારીઓને નોકરીના સ્થળે સરકારની ગાઈડલાઈન મુજબ હાજર રહેવા તેમજ કાયમી નોકરીના સ્થળે રહેવા બાબત જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયએ આદેશ કર્યો છે.
શ્રી ઉપાધ્યાયએ જણાવ્યું હતુ કે જિલ્લા કલેકટરના આદેશ મુજબ ગામડામાં નોકરી કરતા સરકારી બિન સરકારી અનુદાનિત શાળાઓના કર્મચારીઓને નોકરીના જે-તે સ્થળે હાજર રહેવા સરકારની ગાઈડ લાઈન મુજબ આદેશ કરાયો છે. તેમજ કાયમી નોકરી સ્થળે રહેવા જણાવવામાં આવેલ છે.
શ્રી ઉપાધ્યાયએ વધુમાં જણાવેલ કે આ આદેશનું પાલન નહી થાય કોઈ પ્રશ્ન સર્જાય તો તેને માટે કર્મચારી શાળાના આચાર્ય સંચાલકની જવાબદારી રહેશે. અમુક કર્મચારી કામના સ્થળે નિયમીત હાજર રહેતા નથી અને સ્વેચ્છાએ આવતા જતા હોય છે. પરિણામે શૈક્ષણિક કાર્યમાં મુશ્કેલી પડે છે માટે સરકારની ગાઈડ લાઈન મુજબ લાગુ પડતા કર્મીઓને તેમના કામના સ્થળે જ રહેવા તાકીદ કરી છે અને તા.૧૦ ફેબ્રુઆરીના રોજ જુનાગઢ જિલ્લાની તમામ બિન સરકારી અનુદાનિત શાળાઓના આચાર્યને પરિપત્ર પાઠવી તેની અમલવારી કરવા જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ આદેશ કર્યો છે.