જામનગરમાં રખડતા પશુએ હડફેટે લેતા આધેડનું મોત
માથામાં ગંભીર ઇજા થતા ભરતભાઇ બોસમીયાને સારવાર મળે તે પહેલા મૃત્યુ થયુ : ૨ દિવસ પહેલા પણ એક વૃધ્ધને હડફેટે લીધા'તા
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૩ : જામનગર શહેરમાં રખડતા ઢોરની હડફેટે એક આધેડનું મોત થયું છે. જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતા ભરતભાઈ બોસમીયા નામના આધેડનું રખડતા ઢોરે હડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર મળે તે પહેલાં જ મોતને ભેટ્યા છે.
ચાંદી બજારમાં રહેતાᅠ ભરતભાઈ તેમના ઘરેથીᅠ બહાર નીકળ્યા ત્યારે તેઓના ઘર પાસે રસ્તે રઝળતા ઢોરે હડફેટે લેતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. ગંભીર ઇજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં સારવાર મળે તે પહેલા જ તેઓનું મૃત્યુ નીપજયું છે.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે કમકમાટીભર્યા દ્રશ્યો પણ લોકોને હચમચાવી દે તેવા છે. બે દિવસ પહેલા જ શહેરમાં રખડતા ઢોરે એક વૃદ્ધને હડફેટે લેતા તેઓને હાલ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે વધુ એક બનાવથી શહેરીજનોમાં રોષ વ્યાપ્યો છે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)