કામ કરવું નથી, અને કરે એને કરવા દેવુ નથી : જૂનાગઢ કોર્પોરેશનના શાસકો સામે ભીખાભાઇ જોશીનો આક્રોશ
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૧૩: કામ કરવું નથી અને કરે એને કરવા દેવું નથીની જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકોની નીતિ હોવાનો આક્ષેપ ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ કર્યો છે.
આ વર્ષે જૂનાગઢ ના ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોષી પોતાને મળતી ધારાસભ્ય તરીકેની દોઢ કરોડ ગ્રાન્ટ ઉપરાંત વધારાની ૨ કરોડ ગ્રાન્ટ ખાસ જૂનાગઢ શહેરના રસ્તાઓના નવીનીકરણ માટે રાજય સરકારમાંથી મંજુર કરાવી લાવ્યા છે.
આ ગ્રાન્ટને તેઓએ લોકભાગીદારી યોજનામાં ડાયવર્ટ કરી. ૨૦% લેખે આ ૨ કરોડ ગ્રાન્ટ લોકભાગીદારી યોજનામાં ફાળવે અને ૧૦% રકમ કોર્પોરેશન સ્વ-ભંડોળમાંથી ભરે એટલે રાજય સરકાર ૭૦% ગ્રાન્ટ ફાળવે. સીધો અર્થ એ થયો કે આ ૨ કરોડના સીધા ૧૦ કરોડ થાય. ૧૦ કરોડમાં આખાએ જૂનાગઢની તમામ શેરીઓ સી.સી.રોડથી મઢાઈ જાય.
પરંતુ કોર્પોરેશન માં બેઠેલા શાસકોએ બહુમતીના જોરે સ્ટેન્ડિંગ કમિટીમાં ધારાસભ્ય દ્વારા કરેલ રસ્તાના કામોની તમામ દરખાસ્તો ના મંજૂર કરી નાખી. જો સમયસર આ કામો મંજુર કરી નાખ્યા હોત તો ચોમાસાની સીઝનમાં લોકોએ હાલાકી ન ભોગવવી પડત. તેમ ભીખાભાઇ જોષીએ જણાવ્યુ છે.