વેક્સિનના બે ડોઝ લીધા હોય તેને ભુજના બજારમાં ખરીદી પર મળશે મોટુ ડિસ્કાઉન્ટ
વાણીયાવાડમાં પાંજરાપોળ શેરીના વેપારીઓનો રસીકરણને પ્રોત્સાહિત કરવા મોટો નિર્ણય
ભુજના વેપારી એસોસિએશને અનોખી પહેલ સાથે યોજના બહાર પાડી છે. જેમાં જો વેક્સિન ના બે ડોઝ લીધા હોય તેને ભારે ડિસ્કાઉન્ટ અને ગીફ્ટ મળશે. વેપારમાં અનલોકની પ્રક્રિયા શરૂ થયા બાદ વેપારીઓ ગ્રાહકોની રાહમાં છે. ત્યારે વેપારીઓએ સરકારના રસીકરણ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા સાથે પોતાના વેપાર ધંધાને નવી દિશા આપવા કંઈક નવી જ પહેલ કરી છે. જેમાં વેક્સિનના બે ડોઝ લેનારને ખરીદી પર ભારે ડીસ્કાઉન્ટ આપવાનું નક્કી કરાયુ છે.
ભુજ વાણીયાવાડમાં પાંજરાપોળ શેરીના વેપારીઓએ આ અંગે એક નિર્ણય કર્યો છે. જેમાં જો કોઈ ગ્રાહક વેક્સિનના બે ડોઝ લેવા અંગેના પુરાવા લઈને આવશે તો કપડાથી લઈ જીવન જરૂરી જે વસ્તુઓની આ શેરીમાં દુકાનો આવેલી છે. તે મોટુ ડિસ્કાઉન્ટ આપશે કાપડ, સ્ટેશનરી અને ઘરવખરી સહિતની અનેક દુકાનો આ બજારમાં આવેલી છે.
પાંજરાપોળ શેરીના વેપારીઓએ લીધેલા આ નિર્ણયનો અમલ ભુજના અન્ય વેપારીઓ પણ કરવા માટે પ્રેરાયા છે, જેથી રસીકરણ માટે લોકો આગળ આવે સાથે-સાથે ગ્રાહકો પણ આવે અને ખરીદીની સ્કીમથી બજાર તરફ ફરી આકર્ષાય તો વડી વેક્સિનથી જે રીતે વેપારીઓ સુરક્ષિત બન્યા છે તે રીતે ગ્રાહકો પણ બને તે ઉદ્દેશ છે.
એક પર એક ફ્રી અને 20 ટકા સુધી ડિસ્કાઉન્ટ આ બજારની દુકાનોમાં તમને મળશે, જો કે હજુ શરૂઆત છે પરંતુ વેપારીઓને આશા છે કે ઘણા ગ્રાહકો વેક્સિન લેવા સાથે બજારમાં આ સ્કીમનો લાભ લેવા માટે આવશે. જો કે મુખ્ય ઉદ્દેશ સરકારના રસીકરણ કાર્યક્રમને પ્રોત્સાહન હોવાનું વેપારી આગેવાન ધિરેન લાલને જણાવ્યું છે.