કાલથી ૪૦૦ ની મર્યાદામાં પ્રતિકાત્મક ગિરનાર પરિક્રમાઃ માત્ર સંતોજ જોડાશે
સંતો સિવાયના લોકોને ગીર અભ્યારણ્યમાં પ્રવેશ નિષેધ
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૩ : આવતીકાલથી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઇ રહી છે પરંતુ આ વર્ષે કોરોનાની ગાઇડ લાઇનને લઇ પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે જેમાં ૪૦૦ ની મર્યાદામાં માત્ર સાંધુ-સંતોજ જોડાશે અન્ય લોકોને ગીર અભ્યારણમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગરવા ગિરનાર ફરતે યોજાતી પાવનકારી પરિક્રમા આવતીકાલથી યોજાનાર છે પરંતુ આ વર્ષે પણ કોરોના મહામારીના કારણે કલેકટર રચિત રાજે રવિવારથી શરૂ થતી પરિક્રમામાં માત્ર ૪૦૦ સાધુ-સંતોની પરિક્રમા માટે અનુમતી આપી છે.
કોરોનાની ગાઇડ લાઇન અનુસાર માત્ર ૪૦૦ ની મર્યાદામાં અને તે પણ પ્રતિમકાત્મક રીતે ગિરનાર પરિક્રમા યોજાનાર હોવાથી સાધુ-સંતો સિવાય શ્રદ્ધાળુંઓને ગીર અભ્યારણમાં પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે જેનો ભંગ કરનારની સામે કાનુની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
પ્રતિકાત્મક પરિક્રમાને લઇ શ્રદ્ધાળુઓમાં નારાજગી પ્રવર્તે છે જો કે, સર્વેના હિતમાં તંત્રએ ૪૦૦ ની મર્યાદામાં જ સાધુ-સંતો માટે પરિક્રમાની મંજુરી આપી છે.