ભુજ નોકરી કરતી હતીઃ દિવાળી કરવા વતનમાં આવી હતી
કોડીનારના જમનવાડામાં બહેન સાથે ચડભડ થતાં દિવ્યાએ જીવ દઇ દીધો
યુવતિએ રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડ્યોઃ પરિવારમાં કલ્પાંત
રાજકોટ તા. ૧૩: કોડીનારના જમનવાડામાં રહેતી દિવ્યાબેન માલાભાઇ વાંજા (ઉ.વ.૨૫) નામની યુવતિને બહેન સાથે ચડભડ થતાં એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
દિવ્યાબેને ગઇકાલે સવારે પોણા અગિયારેક વાગ્યે ઘરે એસિડ પી લેતાં કોડીનાર હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ મોડી રાતે દમ તોડી દેતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જરૂરી કાર્યવાહી કરી કોડીનાર પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનાર દિવ્યાબેન ચાર બહેન અને એક ભાઇમાં બીજી હતી અને ભુજ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી હતી. તે દિવાળીની રજામાં વતન આવી હતી. અહિ બહેનો સાથે કામ બાબતે ચડભડ થતાં તેણીને માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. કોડીનાર પોલીસ વધુ તપાસ કરે છે.