સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th November 2021

સુરેન્દ્રનગરમાં સમસ્ત લોહાણા મહાજન યુવક મંડળ દ્વારા પૂ. જલારામ બાપા જન્મજયંતિની ઉજવણી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૨ : પૂ.જલારામ બાપાની ૨૨૨મી જન્મ જયંતિની સુરેન્દ્રનગર જિલ્લામાં ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવી હતી.

રઘુવંશી સમાજની બીજી દિવાળી એટલે જલારામબાપાની જન્મ જયંતિ. સમસ્ત લોહાણા મહાજન અને લોહાણા યુવક મંડળ-સુરેન્દ્રનગર દ્વારા સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૨મી જન્મ જયંતિ નિમીતે લોહાણા મહાજન વાડી ખાતે પાદુકા પુજન તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ઉજવાયેલી જન્મજયંતિ પ્રસંગે સવારે ૯ કલાકે પાદુકા પૂજન કરાયુ હતુ.

જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા જયારે સાંજે પહેલા બહેનો માટે અને ત્યારબાદ ભાઈઓ માટે પ્રસાદનુ આયોજન કરવામાં આવેલ હતુ.

સમગ્ર આયોજનને સફળ બનાવવા સમસ્ત લોહાણા મહાજન અને લોહાણા યુવક મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સુરેન્દ્રનગર ઉપરાંત, ધ્રાંગધ્રા, થાન, ચોટીલા, સાયલા, લીંબડી સહીતના તાલુકાઓમાં પણ પૂ.જલારામ બાપાની જન્મ જયંતિની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી.

(12:22 pm IST)