ભુપેન્દ્રભાઇ પટેલ સૌરાષ્ટ્રમાં: જેતપુર-મોરબી-વઢવાણમાં ઉપસ્થિતી
સ્વામિનારાયણ મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવ મોરબીમાં ભાજપનું સ્નેહમિલન તથા વડવાળા મંદિરે દર્શન કરશે અને વઢવાણમાં સ્નેહમિલનમાં હાજર રહેશે
રાજકોટ, તા.૧૩: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે બપોર બાદ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આજે જેતપુર, મોરબી તથા સુરેન્દ્રનગર જીલ્લાના વડવાળા, અને વઢવાણનાં કાર્યક્રમમાં ઉપસ્થિતી રહેશે.
જેતપુર
(કેતન ઓઝા દ્વારા) જેતપુરઃ જેતપુરમાં સ્વામીનારાયણ ગાદીસ્થાન તીર્થધામ વરદાન ભૂમી તરીકે ઓળખવામાં આવે છે. સહજાનંદ સ્વામી ગાદીએ બેઠા તેના ૨૨૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે સાત દિવસીય દિવ્ય મહોત્સવ યોજવામાં આવ્યો છે. જેમાં આજ રોજ ધુન પ્રારંભ, પોથીયાત્રા, મહોત્સવ ઉદઘાટન, દિપ પ્રાગટય, કથા પ્રારંભ ઉત્સવ યોજાયા હતા. આજે શનિવારે તા.૧૩ના સમૂહ મહાપુજા, મહિલા મંચ વ્યાખ્યાનમાળા તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું આગમન થશે. તા.૧૪ના મહોત્સવ પૂર્ણાહુતી થશે. જયારે તા.૧૫ના અભિષેક, અન્નકૂટ દર્શન તેમજ ગુણાતીત સત્સંગ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે બપોરે ૨:૩૦ કલાકે રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેશે.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી આજે બપોરે ૩:૪૫ વાગ્યે જે.પી.ફાર્મ, અજંતા કલોક સામે, મોરબી ખાતેના સ્નેહ મિલન કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ ભાગ લેશે.
વઢવાણ
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ મુખ્યમંત્રી સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજ ગામે વડવાળા મંદિર ખાતે સાંજે ૬ કલાકે દર્શન કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી વઢવાણ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંજે ૬:૩૦ કલાકે ભાગ લેશે.