સાવરકુંડલામાં આમ આદમી પાર્ટી દ્વારા સંચાલિત કોવિડ કેર સેન્ટર તંત્ર દ્વારા બંધ કરાવાયુઃ આપ દ્વારા રાજકિય રાગદ્વેશનો આક્ષેપ
(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૧૪ : સાવરકુંડલા ખાતે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારનાં કોરોનાના દર્દીઓને સારવાર મળી રહે તે હેતુથી આમ આદમી પાર્ટીનાં કાર્યકરો દ્વારા સેવા સમિતિ સુરતનાં સહયોગથી જેસર રોડ ઉપર આવેલા રાધે ફાર્મમાં ગત રવિવારથી કોવીડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવ્યુ હતું. અહી આયોજકો દ્વારા દર્દીને સારવાર સાથે તમામ સુવિધા નિઃશુલ્ક પુરી પાડવામાં આવી રહી હતી. આ કોવિડ સેન્ટરને તા. ૧૩-પ-ર૧ ને ગુરૂવારે રાત્રે તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યું છે. આ કોવિડ સેન્ટરમાં ગઇ કાલે રાત્રે બાર દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા જે પૈકી ત્રણ તો ઓકસીજન ઉપર હતા જેમાંથી ત્રણ દર્દીઓને સાવરકુંડલાની સરકારી હોસ્પીટલમાં સારવાર લેવાની અનિચ્છા દર્શાવી. ઘેરે જતા રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ભરતભાઇ નાકરાણી અને વિશાલભાઇ ડોબરીયાએ જણાવ્યુ કે પાંચ દિવસ પહેલા મંજૂરી માટે તંત્રને જાણ કરી દીધેલી હતી. પરંતુ રાજકીય રાગદ્વેશથી તંત્રને હાથો બનાવી અમારા દ્વારા ચલાવાતુ કોવિડ સેન્ટર બંધ કરાવ્યુ છે. જયારે આરોગ્ય અધિકારી ડો. મિનાએ આ બાબતે મો. ને બદલે રૂબરૂ આવી વાત કરીશુ તેમ જણાવ્યું હતું.