સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

ભાવનગરમાં નૌસેનાના પુર્વ અધિકારીનું ૮૦ વર્ષ જુનુ રહેણાંક પડાવી લેવા ભૂમાફીયાઓ બન્‍યા બેફામ !

પૂર્વ નૌસેના અધિકારી મનન ભટ્ટે જીલ્લા પોલીસ વડા અને કલેકટરને મળી આપી લેખીત ફરીયાદઃ વળીયાવાળી ચાલમાં દોઢ વર્ષથી ભૂમાફીયા ગેંગનો ત્રાસઃ અન્‍ય રહીશોએ પણ પોલીસમાં ફરીયાદ નોંધાવી : ૧૦ મી તારીખે મનન ભટ્ટના વયોવૃધ્‍ધ પિતાનો જીવ માંડ બચ્‍યોઃ લાગુ મકાન ભૂમાફીયાઓએ પાડીને પટ કરી દેતા ભટ્ટ પરિવારના મકાનની છત ખળભળી ગઇઃ ત્‍વરીત પોલીસ કાર્યવાહીની માંગ

ભાવનગરની વળીયાવાળી ચાલમાં આવેલા પુર્વ નૌસેના અધિકારી મનન ભટ્ટના ૮૦ વર્ષ જુના મકાનને લાગુ મિલ્‍કતો ઉપર ભૂમાફીયાઓએ બુલડોઝર ફેરવી દેતા થયેલા  નુકશાનમાં તા.૧૦મીના તેમના વયોવૃધ્‍ધ પિતાનો જીવ માંડ માંડ બચ્‍યો હતો. તસ્‍વીરમાં  મકાનની હાલની ખખડધજ હાલત નજરે પડે છે.
રાજકોટ, તા., ૧૩: હાલમાં બેંકમાં અધિકારી તરીકે ફરજ બજાવતા નૌસેનાના  પુર્વ અધિકારી મનન ભટ્ટના વયોવૃધ્‍ધ પિતા સહીતનો પરિવાર ૮૦ વર્ષથી ભાવનગરની  વળીયાવાળી ચાલના જે મકાનમાં રહે છે તે મકાન પચાવી પાડવા ભૂમાફીયાઓ બેફામ બન્‍યા છે. ૧૦ મી તારીખે તેમની રહેણાંકવાળી જગ્‍યાને લાગુ મકાનો ઉપર માફીયાઓએ બુલડોઝર ફેરવી દેતા તેમનું હયાત મકાનની છત ખળભળી ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્‍થિતિમાં આવી ગઇ છે. આખા પરીવાર પર જીવનો ખતરો ઝળુંબી રહયો છે. આ બારામાં મનન ભટ્ટે જીલ્લા પોલીસ વડા અને કલેકટરશ્રીને લેખીત ફરીયાદ આપી જવાબદારો સામે ત્‍વરીત પગલા લેવા માંગણી કરી છે. અન્‍ય રહેવાશીઓએ પણ આ બારામાં ફરીયાદ નોંધાવી છે.
પ્રવિણાબેન મનસુખલાલ શાહ, નયન મનસુખલાલ શાહ (રહે. મહાદેવ વાડી, આશીર્વાદ બંગલો, ભાવનગર, હાલ સુરત) મુકેશ મનસુખલાલ શાહ, રાજેન્‍દ્ર મનસુખલાલ શાહ, પરેશ મનસુખલાલ શાહ, કિશોરી મનસુખલાલ શાહ, પારૂલ મનસુખલાલ શાહ, દિલીપસિંહ ભરતસિંહ રાણા, ભયલુભા ઉર્ફે મહેન્‍દ્રસિંહ ગોહીલ,  હરપાલસિંહ વાળા, વિક્રમસિંહ પરમાર, શીતલ વણકર, દીપીકા દીપો વણકર, દીપો વણકર, ઉબેરભાઇ અને તેમનો પરિવાર, ઉષાબેન વણકર અને ગીતાબેન વણકર સહીતની ભૂમાફીયા ટોળકી સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
આ બારામાં સુર્યોદય માજી સૈનિક મહામંડળ અને અન્‍ય રહેવાશી સીતાબેન ધુડાભાઇ પરમાર દ્વારા પણ જુદી જુદી રજુઆતો અને ફરીયાદો કરવામાં આવી છે.
વિધિવત  લેખીત ફરીયાદમાં સુર્યોદય માજી સૈનિક મહામંડળે જણાવાયું છે કે, ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારી મનન ભટ્ટના ભાવનગર સ્‍થિત મકાનને ખાલી કરાવવા ભૂમાફિયાઓ બેફામ બન્‍યા છે. નેવી અધિકારીનો પરિવાર આ સ્‍થળે છેલ્લા એશી વર્ષથી રહે છે. હાલ તેમનાં વયોવળદ્ધ-વિકલાંગ પિતાશ્રી આ સ્‍થળે વસવાટ કરી રહ્યા છે.
૧૦ મે ૨૦રરના રોજ મનન ભટ્ટની બાજુનું મકાન ભૂમાફિયાઓ એ પાડી નાખ્‍યું અને તેમ કરતાં નેવી ઓફિસરના મકાનની છતને મોટું નુકસાન પહોંચાડ્‍યું છે. છાપરેથી અચાનક પડેલ કાટમાળથી તેમનાં પિતાશ્રીનો જીવ માંડ બચ્‍યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી, લૂ અને કાટમાળ ખુલ્લા છાપરેથી સતત નીચે પડી રહ્યા છે. આજુબાજુના મકાનો પાડી તેમના મકાનને ભયજનક સ્‍થિતિમાં લાવી દેવાયું છે. હવે જો ત્‍વરિત પોલીસ કાર્યવાહી નહીં થાય તો મનન સરના પરિવાર પર જીવનો ખતરો ઝળુંબી રહ્યો છે.
ભૂમાફીયાઓ બીમ્‍સ હોસ્‍પિટલ ભાવનગરના સંજીવ રવિના માણસો હોવાનું  કહેવાઇ રહ્યું છે.
 છેલ્લા દોઢ વર્ષથી ભૂમાફિયા ગેંગ આ બંધ શેરી વિસ્‍તારમાં અડ્ડો જમાવીને વસી ગઈ છે. બાહુબલીઓ અને દેવીપુજકોની ગેંગ મળીને રહેવાસીઓની બહેન-દીકરીઓની છેડતી, તેમને મર્ડર કરવી નાખવાની ધમકી, એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી, બેફામ ગાળાગાળી આપી રહી છે. જ્‍યારે, વળીયાની ચાલના નિર્દોષ મૂળનિવાસીઓ વિરુદ્ધ ભૂમાફિયાઓની ફરિયાદો તુરંત દાખલ કરી નિર્દોષોને જેલ હવાલે કરી દેવામાં આવે છે.
લોકશાહીમાં જો આપણા શાંતિપૂર્ણ રહેણાક વિસ્‍તારમાં અડ્ડો જમાવવાનો અધિકાર લુખ્‍ખા તત્‍વોને હોય તો શું પોલીસની ફરજ તેમના વિરુદ્ધ કાર્યવાહી (પ્રોહીબીટીવ ઓર્ડર્સ) કરવાની નથી? શું આ લુખ્‍ખાઓ અને તેમના આકાઓ એ સ્‍થાનિક પોલીસને પણ તેમની સાથે ભેળવી લીધી છે?
આ ભૂમાફિયાઓના સાથીઓમાંથી એક મહિલા, એક વિડીયોમાં કોઈને કહેતી જણાય છે; પોલીસ આવી છે પણ અમારી પાસે તો (અહીં રહેવા માટે) કંઈ પુરાવો કે ભાડા ચિઠ્ઠી નથી. શું ગુંડાઓને રહેણાક વિસ્‍તારમાંથી કાઢી રહીશોની સુરક્ષા પોલીસની જવાબદારી નથી?
કેટલાય રહેવાસીઓ ભૂમાફિયાઓના ભયથી વિસ્‍તાર ખાલી કરીને જતાં રહ્યા છે. જે બચ્‍યા છે તેમાં નેવી ઓફિસર મનન ભટ્ટના વયોવળદ્ધ અને વિકલાંગ પિતા પણ સતત ભયના ઓથાર વચ્‍ચે જીવી રહ્યા છે.
કાશ્‍મીરમાંથી થયેલા હિદુઓના પલાયનની જેમ કથિતરૂપે શાંતિપૂર્ણ એવા નરેન્‍દ્રભાઈ મોદીના ગુજરાતમાંથી દોઢ વર્ષનો ત્રાસ સહન કરી ચુકેલા વળીયાની ચાલના રહેવાસીઓ પલાયન કરવા મજબૂર થઇ રહ્યા છે. તેમાય જે સૈનિક છેલ્લા પચ્‍ચીસ વર્ષથી દેશની સેવા કરી રહ્યો હોય તેનાં પરિવાર પરનો આ ત્રાસ સમગ્ર દેશને વિચલિત કરી મુકે તેવો છે.
નેવી ઓફિસર મનન ભટ્ટના પરિવારનું છેલ્લા ૮૦ વર્ષથી એડ્રેસઃ રૂમ નંબર- ૮, વળીયાવાળી ચાલી, ચારણ બોડાંગ પાછળ, અનુપમ બંગલો, જેલ રોડ ભાવનગર - ૩૬૪ ૦૦૧; મોબાઈલ નં. ૭૮૭૪૯૨૭૨૭૧
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્‍યમાં દેશની ફરજ પર બોર્ડર પર રહેલા સૈનિકો પર જીવલેણ હુમલાઓ અને તેમની મિલકતો પર હુમલાઓ ખુબ વધી ચુકયા છે. સૈન્‍ય મુખ્‍યાલયે આ બાબતે ફરિયાદોનું સજ્ઞાન લઇ ડીજીપી  આશિષ ભાટિયાને લખ્‍યું છે. જેને લઇ, ગુજરાતના ડીજી અને આઈજી ઓફ પોલીસ (લોઅને ઓર્ડર ડીવીઝન) તરફથી તા. ૪ ફેબ્રુઆરી ૨૦૨રના રોજ જારી થયેલ પત્રાંક એસસીઆર/સિકયોરીટી/૩૦૦/૨૦૨૨ જેમાં પોલીસને સૈન્‍ય બળોના સદસ્‍યોની ફરિયાદોને  ટોપ પ્રાયોરીટીઁ - ઉચ્‍ચતર પ્રાથમિકતા આપવાનું અને તે બાબતનું એક રજીસ્‍ટર મેન્‍ટેન કરી માસિક રીપોર્ટ જમા કરાવવાનો આદેશ કર્યો છે.
ઉપરોકત બાબતોને ગંભીરતાથી ધ્‍યાને લઇ જવાબદારો સામે પગલા લેવા માંગણી કરવામાં આવી છે.

 

(3:10 pm IST)