સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

'પાણીદાર લોકો કચ્છને બનાવી રહ્યા છે પાણીદાર' : નકામા, જુના, ખાલી બોર - કુવા, ખેત તલાવડી રીચાર્જથી થઇ રહ્યા છે ભર્યાભર્યા

જળસંગ્રહ દ્વારા રાહ ચીંધતા ખેડૂતો પાણી બચાવી ખેતીને બનાવી રહ્યા છે સમૃધ્ધ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૪ : ત્રેવડ ત્રીજો ભાઇ અને પાણી પહેલા પાળ બાંધવી આ બંને કહેવતો માત્ર સંગ્રહ કે સતર્કતાની જ વાત નથી સૂચવતી પણ વ્યકિતની આત્મસૂઝ અને આયોજનની પણ ઓળખ આપે છે.

આવા જ એક આગવા આયોજન અને જળસંચયની વાત આજે કરવાની છે. સુજલામ સુફલામ જળસંચય યોજના હેઠળ રાજય સરકાર ચોમાસ પૂર્વે તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમો, જળાશયો, નહેરો, પાળા વગેરે પુનઃજીવીત કરવા તેમજ સાફસફાઇ અને જળસંગ્રહ માટે કરવાની ખોદાણ પાળા, બાંધા તમામ કામગીરી જનભાગીદારીથી કરે છે અથવા જો કોઇ સ્વતંત્ર રીતે વ્યકિતગત કે સંસ્થા ૧૦૦ ટકા આપ મેળે કરવા માગે તો સરકાર સહકાર આપે છે. જળસંગ્રહથી પાણીની અછતને નિવારવાના આ કારગત ઉપાયમાં લોકો ઉત્સાહથી જોડાય છે. જેમાં સરકાર કામ સાથે રોજગારી અપાવે છે અને આમ વાદળનું જળ થળમાં સમાવાના પ્રયત્નમાં સરકાર નોંધપાત્ર કામગીરી કરી રહી છે. જેમાં જનભાગીદારી પણ નોંધનીય હોય છે અને આવો જ જળસંગ્રહ અને સંચયનો અનોખો યજ્ઞ આરંભાયેલો છે કચ્છમાં... ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં સંગ્રહ કરી જીવસૃષ્ટિને હરિયાળી બનાવવી આ વિચાર સાથે પૂર્વ કચ્છના ખેડૂતોએ વરસાદી પાણીના જળસંગ્રહની અનોખી કામગીરી છેલ્લા બે વર્ષથી આરંભેલી છે.

બિનઉપયોગી કૂવા, પાતાળકૂવા, ખેતતલાવડી અને બોરને પુનઃજીવીત કરી જળસંચય અને સંગ્રહની પ્રેરક કામગીરી ભુજ તાલુકાના પાંતિયા ગામના યુવકોએ ગત વર્ષ ૬ જગ્યાએ જળસંચયના કામ કરીને બધાને ચકિત કરી દીધા હતા. પાંતિયા ગામ યુવક મંડળના યુવાનો અને ખેડૂતોએ વરસાદી પાણીને ગામમાં જ સંગ્રહ કરવા બિનઉપયોગી કૂવાઓ, પાતાળકૂવાને

સાફ કરી તેમજ બોરને રીચાર્જ કરી પાઈપલાઇનના સીધા જોડાણથી વેડફાતા વરસાદી પાણીને સીધા જ કૂવા અને બોરમાં સંગ્રહિત કર્યા છે. જેનાથી ગામ, ખેડૂતો અને ગૃહિણીઓ પણ વરસાદી પાણીનો ઉપયોગ કરતા થયા છે.

કચ્છ જેવા રણ વિસ્તારના આ જિલ્લામાં પાણીની સગવડ બારેમાસ રહે એ માટે આ શ્રેષ્ઠ અને પૂર્વજોએ ચીંધેલો ઉપાય છે. જેને બિદડાના પાટીદાર સમાજે પણ બોર રિચાર્જ અને ખેતતલાવડીમાં વરસાદી પાણી સંગ્રહથી સાકાર કર્યો છે.

મુન્દ્રા તાલુકાના વાંકી ગામે રમેશભાઇ ગઢવીએ પોતાની વાડીના કૂવામાં ખેતરનું વરસાદી પાણી પાઈપલાઇનથી સીધુ ખેતર કૂવામાં ઉતાર્યુ છે અને ખેતરનું પાણી ખેતરમાં વાતને સાકાર કરી છે. રામજીભાઇ અને હરિભાઇ લીંબાણીએ પણ ખેત બોર વરસાદી પાણીથી રીચાર્જ કર્યા છે.

અંજારના રમેશભાઇ ચોટારાએ ખાલી પડતર બોરને પાઈપલાઇનથી જોડીને વરસાદી પાણીનો સંગ્રહ કર્યો છે. વરસાદી પાણીથી આ બોર પણ છલકાયો છે.

૮ વર્ષથી વાઘજી કાનજીભાઇ છાંગા પણ બેકાર બોરને વરસાદી પાણીથી સજીવ કરી ખેતીનો પાક લઇ રહયા છે. સિમેન્ટની ટાંકીમાં વરસાદી પાણી ભેગું થઇ સીધું બોરમાં જમા થઇ વરસો વરસ તેમના ખેતર અને જીવનને લીલાછમ રાખી રહયું છે.

કોટડા ચકારમાં પરસોતમભાઇ જીવરાજની વાડીમાં ગામનું બધુ પાણી કૂવામાં જાય તેવી વ્યવસ્થા કરેલી છે. જયારે નિંગાળ ગામના દેવેન્દ્રભાઇ સોનીએ તો સવા લાખનો ખર્ચ કરીને ૩૦૦ ફૂટ લાંબુ અને ૧૫ ફૂટ પહોળી અને ૧૦ ફૂટ ઉંડી કરેલી તલાવડીમાં નોંધનીય જળસંગ્રહ કર્યો છે.

અંજાર મોડસરના દેવજીભાઇ ગુજરીયા જણાવે છે કે પૂર્વ કચ્છમાં પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ સમિતિ દ્વારા બોર, કૂવા રીચાર્જની કામગીરી પણ થઇ છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની આ પાંખ સાથે ૫૭૯ ઉપરાંત લોકો જોડાયા છે વર્ષ ૨૦૨૦માં ૪૮ બોરને રીચાર્જ કરવામાં આવ્યા છે તેમજ આ કામગીરીમાં ૫૭૯ સ્વયં સેવકો અને ૩૩૭ વિવિધ સમાજના લોકો જોડાયા હતા.

પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ સમિતિ દ્વારા પૂર્વ કચ્છમાં મુન્દ્રા વિસ્તાર નરેન્દ્રસિંહ, અંજાર વિસ્તાર મયુરભાઇ, કોટડા ચકાર વિસ્તાર ઈશ્વરભાઇ અને રતનાલ વિસ્તારની રાધુભાઇ દ્વારા જળસંચય અને બોર-કૂવા રીચાર્જની કામગીરી કરવામાં રહી છે.

કિસાન નેતા સામજીભાઇ મ્યાત્રા જણાવે છે કે, આ વિસ્તારમાં ભૂગર્ભ જળસંચય ખૂબ સરસ થાય એમ છે. રૂદ્રમાતા ડેમ ચોમાસામાં છલોછલ ભરાય છે અને ચોમાસાના આ પાણીનો સંગ્રહ કરવામાં બોર-કૂવા રીચાર્જની કામગીરીથી કચ્છ ચોમાસાના પાણીથી ભરેલું રહે એવા અમારા પ્રયત્નો છે.

આમ પાણીદાર લોકો કચ્છને બનાવી રહયા છે પાણીદાર અને ચોમાસાની પાણીધારને સીધી પાતાળકૂવા, બોર અને ખેતતલાવડીમાં ઉતારી જળસંગ્રહનું પ્રેરક અને પ્રશંસનીય કાર્ય કરી રહયા છે.(

(11:07 am IST)