સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

ગોંડલના બિલીયાળાની સગીર પ્રેમિકાને ધક્કો મારી કુવામાં ફેંકી દઇને હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ૧૪ : બિલીયાળાની સગીર પ્રેમીકાએ તેના પ્રેમીને લગ્ન કરવાની ના પાડતા આરોપીએ તેની પ્રેમીકાને કુવામા ધક્કો મારીને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરવાના ગુનાના આરોપીનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.

આ કેસની ટુંકી હકીકત એવી છે કે, ફરીયાદી વિભુતી,ઉ.વ.૧પ તથા આરોપી સુભાષ, ઉ.વ.ર૧ રહે. બન્ને બિલીયાળા વાળા એકબીજાના પ્રેમ સબંધમા હોય આ કામના ફરીયાદીની ફરીયાદ મુજબ ગત તા–રર/૬/૧૮ ના રોજ આરોપી રાત્રીના નવેક વાગ્યે ફરીયાદીના ઘર પાસે જઈ ઈશારો કરી બોલાવતા ફરીયાદીને લગ્ન કરી સાથે રહેશુ તેવી લાલચ આપી સાથે લઈ જઈ ભરવાડની વાડીએ લઈ ગયેલ જયા ફરીયાદીએ આરોપી સાથે લગ્ન કરવાની ના પાડેલ ત્યારબાદ આરોપીએ ફરીયાદીને પુછેલ કે તારે પાણી પીવુ છે જેથી ફરીયાદીએ હા પાડતા આરોપીએ જણાવેલ કે તુ કુવામા જો કેટલુ પાણી છે જેથી ફરીયાદીએ કુવામા જોતા આરોપીએ ફરીયાદીને કુવામા ધક્કો મારીને મારી નાખવાનો પ્રયત્ન કરેલ પરંતુ કુવામાં પાણી ભરેલ હોય અને ફરીયાદીને તરતા આવડતુ હોવાથી ફરીયાદીને કોઈ ઈજા થયેલ નહી અને ફરીયાદી કુવામા પથ્થર પર ઉભી રહેલ અને રાડો પાડવા લાગેલ જેથી વાડીના રસ્તેથી કોઈ નીકળતા અને કુવા પાસે આવતા ફરીયાદીએ તેના પિતાનો મોબાઈલ નંબર આપી બોલાવી આપવા વિનંતી કરેલ ત્યારબાદ ફરીયાદીના માતા–પિતાએ આવીને ફરીયાદીને કુવામાથી બહાર કાઢેલ.

ત્યારબાદ ફરીયાદીએ ગોંડલ તાલુકા પોલિસ સ્ટેશનમાં આરોપી સામે આઈ.પી.સી. કલમ–૩૬૪,૩૬૬,૩૦૭ હેઠળની ફરીયાદ કરતા તપાસનીસ અધિકારીશ્રીએ તપાસ પુર્ણ કરી આરોપી વિરૂઘ્ધ ગોંડલ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા આરોપી સામે સેશન્સ કેસ દાખલ કરવામાં આવેલ જે કેસ ચાલી જતા આરોપીના વકીલ શ્રી નિરંજય એસ. ભંડેરીએ તેની દલીલમાં મુખ્યત્વે કોર્ટને એવુ જણાવેલ હતુ કે, ફરીયાદ ખોટી, ઉપજાવી કાઢેલી અને માની ન શકાય તેવી હકીકતો વાળી છે. ફરીયાદીને આરોપી સાથે લગ્ન જ નહોતા કરવા તો શા માટે પ્રથમ ઘરેથી આરોપી સાથે ગયેલ અને વાડીએ પહોચ્યા બાદ શા માટે ઈન્કાર કરેલ ? ફરીયાદીની ઉંમર ૧પ વર્ષની હોય જેથી તેનામા સામાન્ય સમજ હોય જયારે ફરીયાદમાં આરોપી ફરીયાદીને એમ પુછે છે કે તારે પાણી પીવુ છે તો તુ કુવામા જો પરંતુ આ વાત પણ માની શકાય તેવી નથી કારણ કે, કુવો એ કાઈ પાણીનુ માટલુ નથી કે સરળતાથી તેમાથી પાણી ભરી શકાય કે બનાવ વખતે કુવા પાસે કુવામાથી પાણી બહાર કાઢવા કોઈ વાસણ કે દોરી પણ પડેલ નથી તેવી હકીકત પણ ફરીયાદીએ ઉલટતપાસમાં કબુલ રાખેલ છે.

ફરીયાદમાં જ ફરીયાદીને તરતા આવડતુ હોવાનુ જણાવે છે તેમજ કુવામા ઉતરવા માટે લોખંડના સળીયાના યુ આકારના પગાઓ તથા પાણીની મોટરનો પી.વી.સી.નો કાળો ડંડો આવેલ હતો તે હકીકત પણ ફરીયાદીએ તેની ઉલટતપાસમાં કબુલ રાખેલ છે એટલે પહેલેથી જ કોઈપણ રીતે કુવામા ઉતરી આરોપી સામે ખોટી ફરીયાદ લખાવેલ છે. બનાવ બન્યો ત્યારે બિલીયાળા પંથકમા એવો કોઈ સારો વરસાદ પડેલ ન હોય તેમજ ચોમાસુ શરૂ થવામા હોય જેથી કુવાના તળના પાણી ઉંડા જતા રહેલ હોય એટલે આશરે કુવામા ત્રણેક ફુટ જેવુ પાણી ભરેલ હોય તેવુ અનુમાન થઈ શકે અને તે હકીકતને વાડી માલિકે પણ સમર્થન આપેલ છે તેમજ કુવો આશરે ૬૦ ફુટ ઉંડાઈનો હોય ત્યારે એટલી ઉચાઈએથી કોઈ વ્યકિત અચાનક ફોર્સથી પડે તો પાણીની પછડાટ લાગવાથી શરીર ઉપર લાલ ચકામા, ફ્રેકચર તથા કરોડરજુની ઈજા થઈ શકે તેમજ ઓલમ્પીક ના સ્વીમીંગ પુલમા ૩૦ ફુટની ઉંચાઈએથી પાણીમાં જમ્પ કરવા માટે સ્વીમરની સલામતી માટે પાણીની ઉંડાઈ ઓછામા ઓછી ૧૬.પ ફુટ નક્કી કરેલ છે તેમજ ગુરુત્વાકર્ષણ બળના નિયમ મુજબ કોઈ વ્યકિત જેટલી ઉંચાઈએથી પાણીમાં પડે તેનાથી અડધા લેવલ સુધી પાણીમાં જાય જયારે કુવામા ૬૦ ફુટની ઉંચાઈ પરથી ફરીયાદી પડે છે અને પાણીનુ લેવલ માત્ર ત્રણેક ફુટ જેવુ હોય અને ફરીયાદીને એક પણ ઈજા થતી નથી જેથી ફરીયાદ શંકાસ્પદ છે.

ફરીયાદીએ ફોન કરીને આરોપીને સ્મશાન પાસે બોલાવેલ અને ફરીયાદી અને આરોપી પ્રથમ સ્મશાને મળેલા, આરોપી ફરીયાદીને તેના ઘરેથી લઈ ગયેલ નથી કે તેની સાથે કોઈ બળજબરી કરેલ નથી તે હકીકત પણ ઉલટતપાસમાં કબુલ રાખેલ છે જેથી ફરીયાદ મુજબનો પ્રથમ દર્શનીય ગુનો બનતો નથી. જયારે ફરીયાદી તથા આરોપીના લગ્નની વાતચીત ચાલતી હોય પરંતુ ફરીયાદી સગીર હોય જેથી પુખ્ત ઉમરની થયા બાદ આરોપી લગ્ન કરશે તેવુ જણાવવામા આવતા ખોટી ફરીયાદ ફરીયાદીએ કરેલ છે જે તમામ રજુઆતોને ઘ્યાને લઈ ગોંડલના મહે. એડી. સેશન્સ જજ શ્રી એચ.પી.મહેતા સાહેબ એ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ તા–પ/૧૦/ર૦ર૧ ના રોજ કરેલ છે. આ કામે આરોપી તરફે ભંડેરી એડવોકેટસ – ગોંડલ ટીમના યુવા ધારાશાસ્ત્રી શ્રી નિરંજય એસ. ભંડેરી, શિવપ્રસાદ પી. ભંડેરી, અંબાગૌરી એસ. ભંડેરી, પ્રજ્ઞા એન. ભંડેરી, ભકિત એસ. ભંડેરી તથા રવિરાજ પી. ઠકરાર રોકાયેલા હતા.

(11:45 am IST)