વાંકાનેર વિધાનસભા મત વિસ્તારમાં ૪૪.૯૫ કરોડ રોડ રસ્તા માટે મંજૂર : સરકારનો આભાર માનતું તાલુકા ભાજપ
(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૧૫ : વાંકાનેર વિધાનસભા વિસ્તારના ઘણા ગામોના રસ્તાઓ સારા વરસાદને પગલે ધોવાય ગયા હતા તો ઘણામાં ગાબડા પડી ગયા હોવાની રજૂઆત ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા વાંકાનેર તાલુકા ભાજપના અગ્રણી યુવરાજ કેશરીદેવસિંહજી ઝાલા સમક્ષ કરતા તેઓએ તેની નોંધ લઇ રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા અને નવનિયુકત મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા સમક્ષ કરી વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા નવા અને રી-કાર્પેટ થાય તે માટેની ગ્રામ્ય પ્રજાની માંગણી વ્યકત કરેલ.
ઉપરોકત બંને અગ્રણીઓએ યુવરાજશ્રી કેશરીદેવસિંહજીની લાગણીને રાજય સરકારમાં ઉપ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રજૂ કરેલ જેને પગલે રાજય સરકાર દ્વારા વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં ખરાબ થયેલા રસ્તાઓ માટે કે જે સાત વર્ષથી રી કાર્પેટ થયા નથી.
આ રસ્તાઓ માર્ગ મકાન વિભાગ હેઠળ આવે છે તે રસ્તા માટે રૂપિયા ૨૪.૯૫ કરોડ અને પંચાયત હસ્તકના ખરાબ થયેલા રોડ રસ્તા માટે રૂપિયા ૨૦ કરોડ આમ કુલ ૪૪.૯૫ કરોડ મંજૂર કરાતા વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી છે.