સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th January 2021

સમગ્ર ગુજરાતમાં કોરોનાના દર્દીઓને પસંદગીનું ભોજન આપતી એક માત્ર હોસ્‍પિટલ અમરેલી શાંતાબા મેડીકલ કોલેજ

(વિમલ ઠાકર દ્વારા) દામનગર, તા. ૧પ અમરેલી જીલ્લાના નાગરીકોને બીમારી નિવારણનું એક માત્ર કેન્‍દ્ર સ્‍થાન એવુ શાંતાબા મેડીકલ કોલેજ એન્‍ડ સિવીલ હોસ્‍પીટલમાં સંચાલનના આરંભથી દર્દીઓ તથા દર્દીઓ સાથે રહેલા પરિવારના સભ્‍યોનું એક વિશેષ પ્રકારે ધ્‍યાન રાખવામાં આવે છે . દર્દીઓની તબીબી સારવારની સાથે સાથે વિનામુલ્‍ય રકત , ડાયાલીસીસ, નાસ્‍તા સહીત બે ટાઈમ જમવાની વ્‍યવસ્‍થા, ૨૪ કલાક એમ્‍યુલન્‍સની સુવીધા ઉપરાંત મેટ્રોસીટીમાં અપાતી સારવારની તમામ સુવીધા અમરેલીમાં ઘરઆંગણે ઉભી કરીને સંચાલક તથા પ્રમુખ અને વતનના રતન , કેળવણીકાર વસંતભાઈ ગજેરાએ જીલ્લાની જનતાની આરોગ્‍યની સતત ચિંતા અને ચિંતન કર્યુ છે ત્‍યારે શાંતાબા મેડીકલ કોલેજ એન્‍ડ સિવીલ જનરલ હોસ્‍પીટલમાં સુવીધાનું એક નવુજ મોરપીછ ઉમેરાયુ છે . જેમાં સારવાર લઈ રહેલ કોરોનાગ્રસ્‍ત તમામ દર્દીઓને સવારનો નાસ્‍તો , બપોર તથા સાંજનું ભોજન દર્દીઓની પસંદગી અનુસાર આપવામાં આવે છે .

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં કોરોનાગ્રસ્‍ત દર્દીઓને સારવાર આપી રહેલ તમામ હોસ્‍પિટલોમાં એક માત્ર અમરેલીની શાંતાબા મેડીકલ કોલેજ એન્‍ડ સિવીલ હોસ્‍પીટલ અમરેલી દર્દીઓને પુછીને પોતાને જે પસંદ હોય તે પ્રકારે અને તેવુ જ ભોજન આપતી હોય તેવી ગુજરાતની પ્રથમ ઘટના છે . દર્દીઓને પોતાની પસંદગી અનુસાર ભોજન મળવાથી ઈમ્‍યુનીટી પાવર પણ જડપથી વધતો હોય એવુ તથા ઝડપથી રીકવરી થતી હોય તેવું જણાય છે ત્‍યારે હોસ્‍પિટલના મુખ્‍ય સંચાલક , વસંતભાઈ ગજેરાએ જણાવ્‍યું હતું કે આ હોસ્‍પિટલનું સંચાલન લેવાનું મારો એક માત્ર ઉદેશ એ હતો કે અમરેલી જીલ્લામાંથી જરૂરીયાતમંદ , ગરીબ દર્દી કે દર્દીના પરીજનોએ અમરેલી બહાર સારવાર માટે ન જવું પડે અને સમગ્ર જીલ્લાની ઘર આંગણે જ તમામ દર્દીની સારવાર વિનામુલ્‍ય પ્રાપ્ત થાય જે સાર્થક થતુ લાગે છે. અને કોરોના દર્દીઓના તથા તેમના પરિવારજનોના ચહેરા ઉપર હાસ્‍ય જોય ને ખુશી થાય છે , અમો ટ્રસ્‍ટના માધ્‍યમથી સમગ્ર જીલ્લાની જનતાને તમામ પ્રકારની અતિઆધુનિક તબીબી સારવાર આપવા માટે કટીબંધ્‍ધ હતા , છીએ અને હંમેશા રહીશું.

(1:39 pm IST)