ભુજ પાલીતાણા વચ્ચે એસટી દ્વારા સ્લીપર કોચ લકઝરી બસ સુવિધા
કચ્છના જૈન યાત્રાળુઓ માટે સુવિધા : સાંજે ભુજથી ઉપડી ભચાઉ, સામખિયાળી, મોરબી, રાજકોટ, આટકોટ અને સોનગઢ થઇ વહેલી પરોઢે પાલીતાણા પહોંચશે
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૫ : જૈન સમાજના પ્રસિધ્ધ તીર્થધામ પાલીતાણા સાથે કચ્છને સાંકળતી સ્લીપર કોચ લક્ઝરી બસ સુવિધા શરૂ થઈ રહી છે.
પ્રવાસીઓ આરામદાયક મુસાફરી કરી શકે તે માટે ગુજરાત એસટી નિગમ દ્વારા ભુજથી પાલીતાણા તળટી સુધી એસી સ્લીપર સર્વિસ એસટી શર કરવામા આવશે. ગુજરાત રાજયના વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્ય, સાંસદ વિનોદભાઈ ચાવડા, માંડવી - મુંદરાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડાની રજૂઆત અન્વયે કચ્છના પ્રવાસી જનતા માટે આરામદાયક મુસાફરી માટે એસટી નિગમ દ્વારા ૧૬મી જાન્યુઆરીના સાંજે ૬.૩૦ કલાકે ભુજથી પાલિતાણા તળેટી જવા રવાના થશે, જે સવારે ૩.૪૦ કલાકે પહોંચશે. ટ્રીપને અગ્રણીઓ દ્વારા ફલેગ ઓફ આપવામાં આવશે.
૧૭મી જાન્યુઆરી સાંજે ૬.૩૦ કલાકે તળેટી પાલિતાણાથી રવાના જશે, જે સવારે ૩.૩૦ કલાકે ભુજ પહોંચશે. જેનું ભાડુ ૭૦૪ રૂપિયા છે.