મેંદરડાના વેપારી પાસેથી ઘઉં ખરીદી રૂા. ૧૩.૬૫ લાખનો વિશ્વાસઘાત
હિસાબ ન આપતા પોલીસ ફરિયાદ
(વિનુ જોષી) જૂનાગઢ તા. ૧૫ : મેંદરડાના વેપારી પાસેથી જુદી-જુદી પેઢીના નામે ઘઉંની ખરીદી કરી બાદમાં રૂા. ૧૩.૬૫ લાખનો વિશ્વાસઘાત કર્યાનું બહાર આવતા વેપારી આલમમાં ચકચાર મચી ગઇ છે.
આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે માર્કેટીંગ યાર્ડમાં પ્રતિકભાઇ સવજીભાઇ હીરપરા ઘઉંનો વેપાર કરે છે.
નવેક મહિના અગાઉ અમદાવાદનો રાજેશ કોઠારીએ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના નામથી અને તાલાલા તાલુકાના હડમતીયા - ગીર ગામનો દિપક ઉર્ફે દિલીપભાઇ વલ્લભ કાલસરીયાએ કેપીટલ એન્ટરપ્રાઇઝના નામથી તેમજ અન્યએ પ્રતિકભાઇ પાસેથી ઘઉંની ખરીદી કરી હતી.
પરંતુ આ શખ્સોએ ઘઉંના બાકી નિકળતા રૂા. ૧૩.૬૧ લાખનો હિસાબ ન આપી વિશ્વાસઘાત કરી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ વેપારીએ નોંધાવી હતી.
પી.એસ.આઇ. કે.એમ.મોરીએ વિશ્વાસઘાતીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.