હળવદ નજીક કાર પલ્ટી જતાં આમરણના ટેલિકોમ એન્જિનિયર મિલન રાઠોડનું મોતઃ મોટા ભાઇને ઇજા
અમદાવાદથી કારમાં આમરણ પિતાના ઘરે આવતી વખતે બનાવઃ મિલનના મોતથી બે માસના પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું
રાજકોટ તા. ૧૫: હળવદ નજીક દસ કિ.મી. દૂર નવા માળીયા અને ધનાળા વચ્ચે સંક્રાંતની સાંજે કાર પલ્ટી મારી જતાં હાલ અમદાવાદ રહેતાં મુળ આમરણના ટેલિકોમ એન્જિનિયર વાળંદ યુવાન મિલન રમેશચંદ્ર રાઠોડ (ઉ.૨૯)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે. જ્યારે તેના મોટા ભાઇ ભાવીનભાઇ (ઉ.૩૧)ને ઇજા પહોંચી છે.
જાણવા મળ્યા મુજબ અમદાવાદ ગોતા વિસ્તારમાં રહેતો અને ટેલિકોમ એન્જિનિયર તરીકે નોકરી કરતો મિલન રાઠોડ ગઇકાલે સંક્રાંતિ હોઇ પોતાના મોટા ભાઇ ભાવીનભાઇ સાથે કારમાં વતન આમરણગામે પિતા રમેશભાઇ રાઠોડને ત્યાં આવી રહ્યો હતો. બંને ભાઇઓ હળવદ નજીક પહોંચ્યા ત્યારે અચાનક કાર પલ્ટી મારી જતાં બંને ભાઇઓને ઇજાઓ થતાં મોરબી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
જેમાં મિલનને વધુ ઇજા પહોંચી હોઇ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મિલન બે ભાઇમાં નાનો હતો. તેના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે માસમનો પુત્ર છે. મિલનના પિતા આમરણ સરકારી દવાખાનામાં નોકરી કરે છે. યુવાન અને આશાસ્પદ દિકરાના મૃત્યુથી રાઠોડ-વાળંદ પરિવારમાં અને ગામલોકોમાં શોક છવાઇ ગયો હતો.