સંક્રાંતને દિવસે લોઠડા સસરાના ઘરે જતી વખતે ત્રંબાના પંકજનું કારની ઠોકરે મોત
ખોખડદળના પાદરમાં બનાવઃ માસુમ પુત્રને પિતાની છત્રછાંયા ગુમાવતાં કોળી પરિવારમાં કલ્પાંત
રાજકોટ તા. ૧૫: ખોખડદળ ગામના પાદરમાં મકર સંક્રાંતના તહેવારને દિવસે જ કારની ઠોકરે બાઇક ચડી જતાં ત્રંબાના કોળી યુવાનનું મોત નિપજતાં પરિવારની તહેવારની ખુશી શોકમાં પલ્ટાઇ ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ ત્રંબા રહેતો પંકજ કેશુભાઇ બાવળીયા (ઉ.વ.૨૨) સંક્રાંતની બપોરે બે વાગ્યે બાઇક હંકારીને લોઠડા ગામે સસરાના ઘરે આટો મારવા જવા નીકળ્યો ત્યારે ખોખડદળના પાદરમાં કારના ચાલકે બાઇકને ઉલાળી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.
હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ આજીડેમ પોલીસને જાણ કરતાં પીએસઅઇ એચ. એમ. જામંગ સહિતએ કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર પંકજ કારખાનામાં કામ કરતો હતો. તે બે ભાઇમાં મોટો હતો. સંતાનમાં એક પુત્ર છે. માસુમ પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં અને પરિવારે આધારસ્તંભ યુવાન દિકરો ગુમાવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પોલીસે હોન્ડા સીટી કાર નં. જીજે૧૦બીજી-૨૨૭૧ના ચાલક સામે ગુનો નોંધ્યો છે.