સોમવારે પૂ. મુકતાનંદબાપુનો જન્મોત્સવ સાદાઇથી ઉજવાશે
સેવક સમુદાય દ્વારા જુનાગઢ-વિસાવદર-દ્વારકામાં રકતદાન કેમ્પ તેમજ ૧૬૦૦ વૃક્ષોનું વાવેતર કરાશેઃઆર.એસ.ઉપાધ્યાય, જય વસાવડા, સાઇરામ દવે સહિતના એ રકતદાન કરવા કરી અપીલ
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧પ :.. ચાંપરડા સુરેવધામના મહંત અને અખિલ, ભારત સાધુ સમાજના અધ્યક્ષ પૂ. મુકતાનંદજી મહારાજનો તા. ૧૭ ને સોમવારના રોજ ૬ર મો જન્મોત્સવ છે.
માત્ર ૧૩ વર્ષની વયે ગુરૂ ભગવતીતાનંદબાપુના આદેશથી માનવ સેવા એજ પ્રભુસેવા સુત્રને ચરિતાર્થ કરવા સંત અમલનો માર્ગ અપનાવનાર પૂ. મુકતાનંદબાપુ દ્વારા ચાંપરડા ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામની સ્થાપના કરી આજે પ્રાથમિકથી લઇ માધ્યમિક એન્જીનીયરીંગ કોલેજ સહિતની સુવિધા ઉભી કરી આ વિસ્તારના અનેક વિદ્યાર્થીઓના ભાવીનું જયા ઘડતર થઇ રહયુ છે તેમજ પૂ. બાપુ દ્વારા આનંદ ધારા પ્રોજેકટ હેઠળ વિસાવદર તાલુકો અને આજુ બાજુની સરકારી પ્રાથમિક શાળાઓને ગ્રાંટો ફાળવી જીલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાય સાથે ચર્ચા વિચારણા કરી જરૂરીયાત મુજબ રીનોવેશન કરાવી તેમજ વર્ગ ખંડો વધારી જરૂરીયાત મુજબ શૈક્ષણીક સાધનો પણ આપવામાં આવે છે અને શિક્ષણ જગત અને લોકો દ્વારા જેમને ક્રાંતિકારી સંતનુ બિરૂદ આપવામાં આવ્યુ છે. એવા બાપુ શૈક્ષણીક સેવા ઉપરાંત આજથી ૧ર વર્ષ પહેલા આ વિસ્તારના દર્દીઓને આરોગ્યલક્ષી સેવા પ્રાપ્ત થાય કયાં દોડવુ ન પડે તે માટે હેલ્થ એઇડ ટ્રસ્ટ હેઠળ જય અંબે મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલની સ્થાનપના કરી જેમાં આજે દરેક રોગ નિષ્ણાંત એમ. ડી. ડોકટરો સેવા આપે છે અને દરેક રોગનુ નિદાન સારવાર ઓપરેશન સહિતની સેવા પૂ. મુકતાનંદબાપુ દ્વારા વિનામુલ્યે આપવામાં આવે છે.
હંમેશા સમાજને કંઇને કઇ આપવા સર્જાયેલ પૂ. બાપુના માર્ગદર્શન હેઠળ જય અંબે હોસ્પીટલમાં કોવિડ કેર સેન્ટર પણ શરૂ કરાયુ છે. જેમાં ૩૦૦ થી વધુ દર્દીઓ કોરોનાની સારવાર લઇ સ્વસ્થ બન્યા છે.
સોમવારે પૂ. મુકતચાનંદબાપુના જન્મ દિન નિમિતે હાલમાં કોરોના મહામારી દરમ્યાન કેટલાક દર્દીઓને તાકીદે લોહીની જરૂર તેમજ થેલેસેમીયાગ્રસ્ત બાળકોને પણ લોહીની જરૂર હોય ત્યારે આ સમાજ સેવાના ભાગરૂપે પૂ. બાપુના આદેશથી જન્મ દિવસની સાદાઇ પૂર્વક અને સમાજ સેવાના ભાગરૂપે ઉજવણી કરવા માટે સેવક સમુદાય દ્વારા અનેક જગ્યાએ રકતદાન કેમ્પનું આયોજન કર્યુ છે જેમાં જુનાગઢ પરશુરામ ફાઉન્ડેશન યુવા પાંખ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન અને સમસ્ત બ્રહ્મસમાજ તથા રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા પ્રેમાનંદ વિદ્યા મંદિર મોતી બાગ રોડ બિલનાથ મંદિર પાસે સવારથી જ રકતદાન કેમ્પ શરૂ થશે જેમાં મો. નં. ૯૯૦૪ર ૭૮૯૪૯ ઉપર મેસેજથી રકતદાતાએ રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે.
ઉપરાંત વિસાવદર તાલુકા પત્રકાર સંઘ દ્વારા આજ દિવસે સોમવારના રોજ સવારે ૯ થી બપોરે ર કલાક દરમ્યાન લેઉવા પટેલ સમાજની વાડી વિસાવદર ખાતે રકતદાન કેમ્પ યોજાશે તેમજ દ્વારકા સનાતન સેવા મંડળ તેમજ શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે રકતદાન શિબીરનું આયોજન કરાયુ છે.
આમ પૂ. બાપુના જન્મદિન નિમિતે ૩ જગ્યા એ મહારકતદાન કેમ્પો યોજનાર છે.
તેમજ રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી સંઘ દ્વારા ભાદર-૧ ડેમ સાઇટ પર ર હેકટર અંદાજે ૧૩ વિઘાની ખાલી જમીનની જગ્યામાં ૧૬૦૦ વૃક્ષોનું વાવેતર કરી તેને મુકતાનંદબાગ નામ આપવાનું આયોજન કરાયું છે. આ રકતદાન કેમ્પમાં સહભાગી થવા સારસ્વત મિત્રોને રકતદાન કરવા જીલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાયએ અપીલ કરી છે ઉપરાંત જય વસાવડા સાઇરામ દવે સહિતના એ સોશ્યલ મીડીયા દ્વારા લોકોને રકતદાન કરવા અપીલ કરી છે.