જસદણ કોંગ્રેસ દ્વારા ભાવ વધારો સામે આવેદન
(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૫ : જસદણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાતર, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જસદણ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સુરેશભાઇ ડી. ગીડા, રાજકોટ જિલ્લા કોંગ્રેસના ઉપ પ્રમુખ ધીરૂભાઇ મોહનભાઈ છાયાણી સહિતના લોકોએ જસદણ પ્રાંત અધિકારી કચેરી ખાતે શિરસ્તેદાર વી.એલ. ધાનાણીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલમાં કોરોનાને લીધે ખેડૂતો વેપારીઓ સહિતના લોકો પરેશાન છે ત્યારે પેટ્રોલ-ડીઝલ, ખાતર, ગેસ વગેરેમાં જે ભાવ વધારો થયો છે તે પ્રજા વિરુદ્ધ છે. હાલમાં સમગ્ર દેશમાં તમામ લોકો આર્થિક રીતે મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે ભાવ વધારાને લીધે આપઘાતના બનાવો બની રહ્યા છે. થોડા સમય પહેલાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ખાતર અને પેટ્રોલના ભાવ વધારો નહીં થાય તેવી સત્તાધારી પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આમ છતાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. વહેલી તકે ભાવવધારાનો નિર્ણય પાછો ખેંચવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ અંતમા કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું.