મહુવા સર્કિટ હાઉસમાં ખાલી બિયરના ટીનના વાયરલ વીડિયો અંગે અધિકારીઓએ કહ્યું -કોઈ વિગત મળી નથી
આ વીડિયો કોઇએ મજાકના અર્થમાં બનાવી વાયરલ કર્યો હોય તેવું જણાવ્યું
ભાવનગરના મહુવા સર્કિટ હાઉસમાં ખાલી બિયરના ટીનના વાયરલ વીડિયો બાબતે અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે. જેમાં સર્કિટ હાઉસના ડેપ્યુટી એન્જિનિયર અને મેનેજર દ્વારા આ અંગે પોલીસની સહાય લઇને તપાસ હાથ ધરવામાં આવી હતી.. અધિકારીઓએ વાતને રદિયો આપતા જણાવ્યું હતું કે વાયરલ વીડિયો ખોટો છે.. અમે જે તપાસ કરી છે એમાં આવી કોઇ જ વિગતો જાણવા મળી નથી.. આ વીડિયો કોઇએ મજાકના અર્થમાં બનાવી વાયરલ કર્યો હોય તેવું તેઓ જણાવી રહ્યા છે.
જો કે મહુવા સર્કિટ હાઉસમાં બિયરના ખાલી ટીન પડ્યા હોવાનો વિડિયો વાયરલ થતાં તંત્ર દોડતું થયું છે. તેમજ આ પ્રતિબંધિત બિયરના ટીન કોણ લાવ્યું, અને કઈ રીતે સર્કિટ હાઉસમાં આવ્યા મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ ઘટનાની જાણ થતાં આર. એન.બી વિભાગના ડે. એન્જીનીયર પણ સર્કિટ હાઉસ દોડી આવ્યા હતા. જો કે સ્થળ પરથી કશું જ વાંધાજનક ન મળ્યું હોવાનો અધિકારીઓ દાવો કર્યો છે. આ સમગ્ર પ્રકરણની તપાસ પોલીસે પણ હાથ ધરી છે. જો કે આ દરમ્યાન આ સમગ્ર વિડીયો કોણે બનાવ્યો અને કેવી રીતે વાયરલ કર્યો છે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ તો આ વિભાગના અધિકારીઓ સબ સલામત હોવાના દાવા કરી રહ્યા છે. તેમજ જ્યાં સુધી આ વિડીયોની વાસ્તવિકતા સામે નહિ આવે ત્યાં સુધી આ દાવા કરતાં રહેશે.