જામનગરનાં આમરા ગામમાં દલિત સમાજના મંદિરની દિવાલ -છત તોડી દીધા બાદ વચન ભંગ : ભાજપને મત ન દેવા નિર્ધાર
તસ્વીરમાં મંદિર તથા દલિત સમાજના લોકો આક્રોશ ઠાલવતા નજરે પડે છે.
રાજકોટ, તા.૧ર : જામનગર જીલ્લાના નાના એવા આમરા ગામમાં દલિત પરિવારો સાથે અન્યાય થતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
જામનગર જીલ્લાનાં આમરા ગામમાં દલિત સમાજનાં માતાજીનું મંદિર આવેલ છે. જયા ભાવિકો પૂજન-અર્ચન કરીને ધન્યતા અનુભવે છે. માતાજી પ્રત્યે સમાજને ભારે આસ્થા છે પરંતુ ૮ થી ૧૦ મહિના પહેલા આમરા ખાતે જીલ્લા પંચાયતના સભ્યએ આવીને આ મંદિરની દિવાલ તોડી નાંખો અમે મંદિરની નવી દિવાલ અને છત બનાવી આપીશુ પરંતુ આ વચન આપ્યા બાદ હજુ સુધી કોઇ કામગીરી ન થતા ગામના યુવા અગ્રણી દિલીપભાઇ (મો. ૮૦૦૦૦ ૯૪૭૯૦) એ અવાજ ઉઠાવ્યો છે અને ન્યાયની માંગણી કરી છે.
આ અંગે દિલીપભાઇએ વધુમાં જણાવ્યું હતું કે ૮ થી ૧૦ મહિના પહેલા જીલ્લા પંચાયતના બે સભ્યો આમરા ગામમાં આવ્યા હતા અને આ મંદિર બનાવવાનું જણાવી છત અને દિવાલ તોડીને નવુ મંદિર બનાવી આપવાની વાત કરતા અમે લોકોએ આ મંદિરની દિવાલ અને છત તોડી નાંખી હતી. ત્યારબાદ આજે ૮ થી ૧૦ મહિના થવા છતાં હજુ સુધી મંદિરના દિવાલ કે છતની કોઇ કામગીરી કરવામાં આવી નથી.
જેથી દલિત સમાજના લોકો એકત્ર થયા હતા. અને વિડીયો સોશ્યલ મીડીયામાં મૂકીને ન્યાય માંગ્યો છે.
આ અંગે જવાબદારોએ એવું પણ જણાવ્યાનું દિલીપભાઇ કહે છે કેે તમે મત નથી આપ્યા એટલે મંદિરની દિવાલ કે છત નહીં બનાવી આપીએ. આ અંગે ગ્રામજનો એ જણાવ્યું કે અમે મત ન આપ્યા તો બહુમતીથી કેમ ચૂંટાયા હશે ?
આ અન્યાય થતા ગામના લોકોએ હવે પછી મત ન આપવા નિર્ણય કર્યો છે. અને વચન ભંગ કરનારને ભાજપ આવતી ચૂંટણીમાં ટિકિટ ન આપે તેવી માંગણી કરી હોવાનું દિલીપભાઇએ જણાવ્યું છે.