સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

ટીંબી ખાતેથી જાફરાબાદ તાલુકાના ૨૬ ગામોમાં કિસાન સુર્યોદય યોજનાનો શુભારંભ

અમરેલી, તા. ૧૬: રાજય સરકાર દ્વારા તાજેતરમા ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહે તે હેતુથી ‘કિસાન સુર્યોદય યોજના' અમલમા મુકવામા આવેલ છે. જે અંતર્ગત જાફરાબાદ તાલુકાના ૨૬ ગામોને આ યોજનાથી લાભાન્‍વીત કરતો કાર્યક્રમ ટીંબી માર્કેટીંગ આયોજન કરવામાં આવ્‍યું હતું.

જાફરાબાદ તાલુકાના કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત બાબરકોટ, બલાણા, ભાડા, છેલણા, ચિત્રાસર, ધારાબંદર, ધોળાદ્રી, દુધાળા, હેમાળ, જૂની જીકાદ્રી, કડિયાળી, કેરાળા, લોઠપૂર, લુણસાપુર, મીતીયાળા, મોટા માણસા, નાગેશ્રી, પાટી માણસા, રોહીસા, વઢેરા, વાંઢ, વારાહસ્‍વરૂપ, જાફરાબાદ, વડલી, ટીંબી અને ભાકોદર સહિતના કુલ ૨૬ ગામનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કામાં ૬૬ કેવીના ૨ સબસ્‍ટેશનમાંથી નીકળતા ૬ ખેતીવાડી ફીડર સાથે જોડાયેલા ૨૬ ગામોને આજથી દિવસે વીજપુરવઠો આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

નોંધનીય છે કે આ કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને હવે દિવસે વીજળી મળતા રાતના ઉજાગરા, વન્‍ય પ્રાણીઓ કે જીવજંતુઓના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડત મુશ્‍કેલીઓમાંથી કાયમ માટે મુક્‍તિ મળશે. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા આ યોજનાનો શુભારંભ તા. ૨૪-૧૦-૨૦૨૦ ના રોજ કરવામાં આવ્‍યો હતો. આ યોજનાના પહેલા તબક્કામાં જૂનાગઢ ના ૨૨૦ ગામો, ગીર સોમનાથના ૧૪૩ ગામો અને દાહોદ જિલ્લાના ૬૯૨ ગામો એમ કુલ મળી ૧૦૫૫ ગામોના ખેડૂતોને દિવસે વીજ પુરવઠો ચાલુ કરવામાં આવ્‍યો હતો. આ યોજના માટે ૩૫૦૦ કરોડના ખર્ચે ૬૬ કેવીની ૩૪૯૦ સર્કિટ કીમી જેટલી ૨૩૪ નવી ટ્રાન્‍સમીશન લાઈનો અને ૨૨૦ કેવીના ૯ નવા સબસ્‍ટેશનો થકી ગુજરાતનું વીજ માળખું વધુ સુદ્રઢ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્‍યહીરાભાઈ સોલંકી, ટીંબી એ.પી.એમ.સી.ના ચેરમેન ચેતનભાઈ શિયાળ તથા જેટકો અને પીજીવીસીએલના અધિકારી-કર્મચારીશ્રીઓ સહિતના મહાનુભાવો ખેડુતભાઇઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:02 pm IST)