જેતલસર આરોગ્ય કેન્દ્ર બન્યુ લોકોની આસ્થાનું પ્રતીક : રોજ ૧૦૦ જેટલા ટેસ્ટ
બહાર ગામના લોકો પણ કોરોના ટેસ્ટ માટે આવી રહ્યા છે
(કુલદિપ જોશી)જેતલસર,તા. ૧૬: હાલ કોરોના મહામારી વકરી રહી છે. ત્યારે ઘણા ખરા આરોગ્ય કેન્દ્રો પર કોરોના ટેસ્ટ માટે ભીડ જોવા મળેછે. તેવો જ માહોલ હાલ જેતલસરના આરોગ્ય કેન્દ્રમાં જોવા મળી રહ્યો છે.
જેતલસર ગામે આવેલ આરોગ્ય કેન્દ્રમાં કીડીયારા માફક લોકોની ભીડ જોવા મળી છે. હાલ કોરોના ટેસ્ટ પ્રત્યે લોકોએ સજાગતા બતાવી છે ત્યારે જેતલસરના આરોગ્ય કેન્દ્ર પર રોજના ૧૦૦ કરતા વધારે એન્ટીજન અને આર.ટી.પી.સી આર. ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.ત્યારે મેડિકલ ઓફિસર નિલેશ કાછડીયાના જણાવ્યા મુજબ રોજ બરોજના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે ત્યારે દરેક આરોગ્ય કેન્દ્ર પર ભીડ વધી છે ત્યારે તમામ વ્યવસ્થા થી સજ્જ જેતલસર આરોગ્ય કેન્દ્ર તરફ લોકોને એક આસ્થા બંધાણી છે.ત્યારે લોકોની જરૂરિયાતને પહોંચી વળવા માટે મેડિકલની ટ્રેનિંગ લેતા આશરે દસ જેટલા યુવાનોને જેતલસર આરોગ્ય કેન્દ્રમા મુકવામાં આવ્યા છે. ત્યારે સામે તેને પણ લોકોની સેવા કરવા માટે થનગનાટ બતાવ્યો છે. આ તમામ કાર્યવાહી મેડિકલ ઓફિસર નિલેશ કાછડીયાના નેજા હેઠળ ચાલી રહ્યું છે.