સમયાંતરે અને સાવચેતીપૂર્વક સ્વાસ્થ્યની સંભાળ રાખીએ: ડો.નીમાબેન આચાર્ય
કચ્છ સરહદે બીએસએફ વોર મેમોરિયલ ખાતે નેત્ર સુરક્ષા કાર્યક્રમ યોજાયો
(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫
સરહદી વિસ્તાર ધર્મશાળા ખાતે આવેલા બોર્ડર સીકયોરીટી ફોર્સના વોર મેમોરિયલ ખાતે નેત્ર સુરક્ષા ઈન્ડિયા અગેઈન્સ્ટ ડાયાબિટીસ અભિયાનનો બીજો તબક્કો વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે અધ્યક્ષાશ્રીએ શહીદ સ્મારક પર ભાવાંજલિ અર્પણ કરીને સરહદ પર દેશની ચોકી કરતા બીએસએફના જવાનોને બિરદાવતાં જણાવ્યું હતું કે, ડાયાબિટીસ એ વિશ્વ વ્યાપી શાંત ધાતક રોગ છે. કોઇને ખ્યાલ ના આવે તે રીતે ચુપચાપ ડાયાબિટીસ વ્યકિતમાં ઘર કરવા લાગે છે. ડાયાબિટીસના કારણે આંખની પણ સમસ્યાઓ સર્જાય છે ત્યારે સમગ્ર દેશની સુરક્ષામાં તૈનાત જવાનોની દષ્ટિની તો ખાસ દરકાર કરવી પડે ત્યારે આવા નેત્ર સુરક્ષા અભિયાન આવકારદાયક છે.
આ તકે તેમણે સરકારની નિરામય કાર્ડ યોજના અંતર્ગત દર શુક્રવારે બિનચેપીરોગીની નિઃશુલ્ક સારવાર અને ઉપચાર સેવાના મળતા લાભો લેવા માટે પણ સૌનો અનુરોધ કર્યો હતો.
સમયાંતરે અને સાવચેતીપૂર્વક પોતાના સ્વાસ્થ્ય સંભાળ રાખી સ્વસ્થ ભારત નિર્માણને સાર્થક કરવા સૌએ સહયોગ કરવો જોઇએ.
આ તકે બીએસએફના ડીઆઇજીશ્રી સંજય શ્રીવાસ્તવે મનનીય પ્રવચન કર્યુ હતું.
નેટવર્ક-૧૮ અને નોવાર્ટીસના સંકલનથી યોજાયેલા રેડિકલ હેલ્થ કેર સંસ્થા દ્વારા ૧૦૦ જેટલાં બીએસએફના જવાનોની આંખોની ડાયાબીટીક રેટીનોપેથી માટે ચકાસણી કરવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમાં નેત્ર સુરક્ષા બાબતે પેનલ ડિસ્કશન કરાઇ હતી. કચ્છની સરહદેથી પ્રારંભ આ અભિયાન સમગ્ર દેશમાં ચાલશે.
આ કાર્યક્રમાં બીએસએફના જવાનો સહિત પશ્ચિમ કચ્છ પોલીસ વડાશ્રી સૌરભસિંઘ અને કર્મયોગીઓ તેમજ આંખ નિષ્ણાંત તબીબો અને આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહયા હતા.