અંજારમાં બાઇકની ટક્કરને પગલે મામલો બિચકતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
માધવરાવ ચોકમાં રાત્રે ૮.૩૦ વાગ્યે બનેલા બનાવ બાદ દુકાનોના શટર નીચે પડયા
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૬ : અંજારમાં ગઈકાલે બે બાઈક વચ્ચે ટક્કર થયા બાદ બન્ને બાઈકચાલક વચ્ચે બોલાચાલી અને મારકૂટ થઈ હતી. દરમ્યાન રાત્રે ૮/૩૦ વાગ્યે માધવરાવ ચોકમાં બનેલા આ નાનકડા બાદ મામલો તંગ બનતાં તરત જ દુકાનોના શટર ટપોટપ નીચે પડી ગયા હતા.
દરમિયાન એક બાઈકચાલક અનીશ ઈસ્માઈલ જીએજા હોસ્પિટલમાં દાખલ થયો હતો. ઇજાગ્રસ્ત અનીશે હોસ્પિટલમાં પોતાને અજાણ્યા ઈસમોએ ધોકા વડે ગળા અને છાતીમાં ઈજા પહોંચાડી હોવાનું જણાવ્યું હતું.
આ બનાવ બાદ ડીવાયએસપી ડી.એચ. વાઘેલા, અંજારના ઇન્ચાર્જ પીઆઈ ડી.બી. પરમાર અને પોલીસ સ્ટાફે તરત જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. દરમિયાન એક જૂથનું ટોળું પોલીસ સ્ટેશને દોડી ગયું હતું અને જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પોલીસે બનાવ અંગે વધુ તપાસ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. દરમિયાન ઇજાગ્રસ્ત યુવાન અનીશને મોડી રાત્રે વધુ સારવાર માટે ભુજ ખસેડાયો છે.