સાવરકુંડલાઃ વૈકલ્પીક વ્યવસ્થા પછી જ લારી-ગલ્લા હટાવવા ગ્યાસુદીન શેખની માંગણી
(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા., ૧૬: અમદાવાદ દરીયાપુરના ધારાસભ્ય ગ્યાસુદીન શેખએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા બનાવવામાં આવેલ વેન્ડર પોલીસીનો અમલીકરણ કરી હોકર્સ ઝોન દ્વારા વૈકલ્પીક વ્યવસ્થા આપ્યા પછી જ લારી-ગલ્લા હટાવવા જોઇએ ઇંડા અને નોનવેજની લારીઓ ધાર્મિક સ્થળની આસપાસ લાગણી દુભાય તેવી રીતે ઉભી રાખવી ન જોઇએ.
ગ્યાસુદીન શેખએ વધુમાં જણાવ્યું છે કે રોજગાર આપવામાં નિષ્ફળ ભાજપની સરકાર હવે ઇંડા અને નોનવેજની લારીઓના નામે મતોના ધ્રૃવીકરણની રાજનીતી કરવા માંગે છે. ભાજપ પાસે ચુંટણીઓ જીતવા હવે કોઇ મુદા રહયા નથી. ભારતીય જનતા પાર્ટી પાસે સુખાકારી અને સમસ્યાના વિષય સમાપ્ત થઇ ગયા હોય તેવું લાગે છે. રાજયની મ્યુનિ. કોર્પોરેશન રસ્તા પર ઉભી રહેતી ઇંડા અને નોનવેજની લારીઓ ઉપર પ્રતિબંધ મુકવાનો આદેશ આપી કારણ આપી રહી છે કે ટ્રાફીકની સમસ્યાના નિરાકરણ માટે જરૂરી છે. શું જયાં પણ ટ્રાફીકની સમસ્યા નડે છે ત્યાં ફકત ઇંડા અને નોનવેજની લારીઓ જવાબદાર છે? અન્ય જીવન જરૂરી વસ્તુનુ વેચાણ કરતી લારીઓ શું જવાબદાર નથી?