દ્વારકા દર્શને જતા કાર પલટી ખાતાં પતિ અને પત્નીનાં મોત
જામનગર રોડ પર એક ગમખ્વાર અકસ્માત : સવારે ચારેક વાગ્યાના વડોદરાથી દર્શન કરવા દ્રારકા જતા હતા, કુતરૃં આવી જતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યુ
મોરબી,તા.૧૭ : જામનગર રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં વડોદરાના પતિ પત્નીના મોત નીપજ્યા છે અને ચાર લોકોને ઇજા પહોંચી છે. ટંકારા જામનગર રોડ પર સાવડી ગામ પાસેના હાઇવે પરથી નવી અર્ટિગા લઇને પરિવાર દ્વારકાધીશના દર્શને જઇ રહ્યાં હતા. આ દરમિયાન કારની સામે કુતરું આવવાને કારણે બ્રેક મારતા જ કાર પલટી ખાઇ ગઇ હતી. જેમાં પતિ વિક્કીભાઈ જગદીશભાઈ ચૌહાણ અને તેની પત્ની રાધિકાબેન વિક્કીભાઈ ચૌહાણનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ છે. જ્યારે અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, ટંકારાના લતીપર રોડ ઉપર આવેલા સાવડી ગામ થઇને કારમાં સવારે ચારેક વાગ્યાના સુમારે વડોદરાથી દર્શન કરવા દ્રારકા જતા હતા.
ત્યારે રોડ પર કુતરૃં આવી જતા સ્ટિયરિંગ પર કાબુ ગુમાવી દેતા નવે નવી અર્ટિગા કાર પલટી ખાઈ ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વિક્કીભાઈ જગદીશભાઈ ચૌહાણ અને તેની પત્ની રાધિકાબેન વિક્કીભાઈ ચૌહાણનું ધટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તેમની સાથે કારમાં જઇ રહેલા અનિલભાઈ મોરી, દક્ષાબેન અનિલભાઈ મોરી. આર્યબેન ચૌહાણ અને ચંદનબેન રમેશભાઈ મોરીને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ ટંકારા ૧૦૮ના વલ્લભભાઈ લાઠીયાએ સારવાર ચાલુ કરી પાયલોટ કેતનસિંહ જાડેજાની મદદથી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.