કારડીયા રાજપૂત સમાજ સુત્રાપાડા દ્વારા યોજાનાર અગિયારમો સમૂહ લગ્નોત્સવ કોવિડ ગાઇડ લાઇનને કારણે રદ
(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા,તા. ૧૭ : કારડીયા રાજપૂત સમાજ, સુત્રાપાડા મુકામે આગિયારમાં સમૂહ લગ્નના આયોજન સમિતિની એક બેઠક અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને પૂર્વ મંત્રી જશાભાઇ બારડના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.
જેમાં સમૂહલગ્ન સમિતિના તમામ સભ્યો અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં આગામી વસંત પંચમીને તા. ૫/૨/૨૦૨૨ના રોજ ભવ્ય સમૂહલગ્નનું આયોજન કારડીયા રાજપૂત સમાજ સુત્રાપાડા દ્વારા કરવામાં આવેલ હતું.
જેમાં દર વર્ષની જેમ કારડીયા રાજપૂત સમાજના આગેવાનો તેમજ યુવા કાર્યકરો ઉત્સાહથી ભાગ લ્યે છે. તેમજ આશરે ૧૫,૦૦૦ જેટલા લોકો સમૂહ ભોજનનો લાભ લ્યે છે. જેની પરંપરા આ વર્ષે પણ જાળવતા સમૂહલગ્નનું આયોજન કરાયેલ હતું. તેમજ ૪૦ થી વધુ લગ્નોનું નોંધણી થઇ ગયેલ હતી. પરંતુ હાલમાં કોરોના અને ઓમીક્રોનને કારણે સરકાર દ્વારા આપવામાં આવેલ ગાઇડલાઇનને અનુસરીને આ સમૂહલગ્નોત્સવનું આયોજન રદ કરવામાં આવેલ છે. ઉપરાંત લગ્નમાં જે કન્યાઓ અને દીકરીઓએ નામ લખાવેલ છે તે તમામને સમિતિ દ્વારા મળતી ચીજ વસ્તુઓ તેઓના ઘરે પહોંચાડવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવેલ.