ગોંડલના દેરડી (કુંભાજી)માં કોરોના વોરિયર્સનું સન્માનઃ મૃતકોને હૃદયાંજલી અર્પણ
મોવિયા : ગોંડલના દેરડી (કુંભાજી) ગામે ગત ૧૧ તારીખે શ્રી સરદાર પટેલ યુવા ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા કોરોના વોરિયર્સ સન્માન તેમજ કાળમુખા કોરોનાએ અકાળે છીનવી લીધેલ સ્વજનોની યાદનો અશ્રુભીનો સ્વર્ગસ્થ હૃદયાંજલી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેરડી ગામના તમામ ડોકટરો, હેલ્થ વર્કરો, અને સામાજિક કાર્યકર તેમજ કોરોના સમયે ખૂબ જ મદદરૂપ બનનાર પત્રકાર નરેશભાઇ શેખલિયા તથા ગામના સરપંચ શૈલેષભાઇ ખાતરા આ ત્રણેય કેટેગરી સહિત ૨૪ લોકોને વિશિષ્ઠ કોરોના વોરિયર્સ તરીકે સન્માનીત કરવામાં આવ્યા હતા. તેમજ ખૂબ જ સંવેદનીશલ એવા આ કાર્યક્રમમાં દેરડી ગામના કોવિડ-૧૯ મહામારીમાં સ્વર્ગસ્થ થયેલા ૪૦ પરિવારોના સ્વજનોને હૃદયાંજલી પત્ર તથા ગ્રામ્ય દેવતા દૂધેશ્વર મહાદેવની છબી સ્મૃતિ ચિન્હરૂપે આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ સવજીભાઇ વિસાવળિયા, ડો.રાછડિયા માર્કેટીંગ યાર્ડના સભ્ય મનીષભાઇ ગોળ, સરપંચ શૈલેષભાઇ ખાતરા, સહકારી મંડળીના પ્રમુખ જગદીશભાઇ ગોળ, તાલુકા પંચાયત સભ્ય ચિરાગભાઇ ગોળ, ભરતભાઇ ખાતરા, ભરતભાઇ પાનસુરિયા, કિશોરભાઇ ત્રિવેદી, કૈલાશધામ સમિતિના સભ્યશ્રી, તેમજ ગામના આગેવાનો તથા વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુવા ગ્રુપ દ્વારા આગામી સમયમાં ગામમાં નિહારનાં સામાન નિઃશુલ્ક આપવાની તથા શ્રી સરદાર પટેલનું સ્ટેચ્યુ મુકવા અને ગરીબો માટે માનવતાની દીવાલ બનાવવાની તેમજ કૈલાશધામ (સ્મશાન) માં પીવાના ફિલ્ટર પાણીની વ્યવસ્થા કરવાની જાહેરાત શ્રી સરદાર પટેલ યુવા ફાઉન્ડેશનના પ્રમુખ હિંમતભાઇ પોકિયા દ્વારા કરવામાં આવી હતી. અને સાથે સાથે ગામની કોઇ પણ સેવાકીય પ્રવૃતિમાં શ્રી સરદાર પટેલ યુવા ગ્રુપ હંમેશા અગ્રેસર રહેશે એવી ખાતરી આપવામાં આવી હતી. ગ્રામજનો અને ઉપસ્થિત આગેવાનોએ શ્રી સરદાર પટેલ ગ્રુપની સેવાકીય પ્રવૃતિની પ્રશંસા કરી હતી. સંચાલન મહેન્દ્રભાઇ (મકાભાઇ) તથા દિનેશભાઇ ઠુંમરે કરેલ હતું. સમાપન એન.વી.નરોડિયાએ કર્યું હતું. (તસ્વીર-અહેવાલ : અશોક પટેલ -મોવિયા)